નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે પેંગોન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં ૪૩૫૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે. ભારતીય સેનાના વડા મથક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ચીનની સેનાને પણ નુકસાન વેઠવું પડ્યું છે. જોકે. હજી સુધી ચીનના કેટલા સૈનિક માર્યા ગયા કે ઘાયલ થયા એને લઈને સ્પષ્ટ જાણકારી સામે નથી આવી.
સેનાના મુખ્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલ મામલાને ઉકેલવા માટે ઘટનાસ્થળે બેઠક યોજી રહ્યા છે.
ગલવાન ખીણ ભારત ચીનની લદાખ સીમારેખાનો વિસ્તાર છે અને સૈન્ય તણાવ ઘટાડવા માટે બન્ને દેશના મેજર-જનરલ સ્તરના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે. પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું, ‘ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં સીમાવર્તી વિસ્તારમાં સૈનિક અને વ્યૂહાત્મક માધ્યમોથી તણાવ ઘટાડવા અંગે વાતચીત કરી રહ્યા છે.’
તેમણે ઉમેર્યું, ‘છ જૂને સિનિયર કમાન્ડરોની બેઠક બહુ સારી રહી હતી અને તેમાં તણાવ ઘટાડવા માટેની પ્રક્રિયા પર સહમતી બની હતી. એ બાદ ઘટનાસ્થળે હાજર કમાન્ડરોની બેઠકો પણ શરૂ થઈ હતી, જેથી એ સહમતીને ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરી શકાય, જે અધિકારીઓ વચ્ચે સધાઈ હતી.’
તેમણે કહ્યું, ‘અમને આશા હતી કે બધું જ સરળતાથી થઈ જશે. જોકે, ચીની પક્ષ એ સહમતીથી હઠી ગયો કે ગલવાન ખીણમાં લાઇન ઓફ એક્ચ્યુલ કંટ્રોલનું સન્માન કરવામાં આવશે.’
સોમવાર રાતના ઘર્ષણ અંગે તેમણે જણાવ્યું કે ‘૧૫ જૂનની મોડી સાંજે અને રાતે હિંસક ઘર્ષણ થયું હતું. આનું કારણ એ હતું કે ચીની પક્ષે એક તરફી હાલની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને તરફથી લોકો ઘાયલ થયા હતા. જો ચીની પક્ષે ઉચ્ચ સ્તરે બનેલી સહમતીનું યોગ્ય રીતે પાલન કર્યું હોત તો તેને ટાળી શકાયું હોત.’
બીજી તરફ, ચીને ભારત પર બંને દેશો વચ્ચેની વિવાદિત સરહદને ઓળંગવાનો આરોપ મૂક્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ભારતીય ટુકડીઓએ સોમવારે બે વાર સીમા રેખા ઓળંગી અને એ રીતે ચીનના સૈનિકોને ઉશ્કેરી તેમની પર હુમલો કર્યો જેના પરિણામે બંને બાજુએ સેનાઓ વચ્ચે ગંભીર અથડામણ થઈ. બીજિંગે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભારતીય સૈનિકોએ સરહદ ઓળંગીને ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો.