અબુજાઃ નોર્થ સેન્ટ્રલ નાઈજિરિયામાં ગત સપ્તાહથી આવેલા પૂરમાં 200થી વધુ જાનહાનિ થયાનો અંદેશો નાઈજર સત્તાવાળાએ દર્શાવ્યો છે. બીજી તરફ સેંકડો લોકો લાપતા છે અને તેઓ મોતનો શિકાર બન્યા હોવાની શક્યતા છે. નાઈજર સ્ટેટ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ ગત મંગળવારે 159નો મૃત્યુઆંક જણાવ્યો હતો. ગત ગુરુવારે આખી રાત વરસેલા વરસાદથી મોકાવા ટાઉન જળબંબાકાર બની ગયું હતું અને સૌથી ખરાબ પૂરનો ભોગ બન્યું હતું. મોકાવામાં 250થી વધુ ઘરનો નાશ થયો છે અને એક જ દિવસમાં મોટા ભાગનું નગર તહસનહસ થઈ ગયું હતું.
નાઈજર સ્ટેટ હ્યુમનિટેરિઅન કમિશનર અહમદ સુલેમાનના જણાવ્યા અનુસાર 200થી વધુ મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ મૃતદેહોની તલાશ જારી હોવાથી ચોક્કસ મૃત્યુઆંક કહી શકાય તેમ નથી. વોલન્ટીઅર્સ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ્સને નાઈજર નદીમાં તણાઈ ગયેલા લોકોના શબ 10 કિલોમીટર દૂરથી મળ્યા હતા. એક જ ઘરમાંથી ડઝનબંધ સભ્યો લાપતા થયા હોવાનું જણાય છે. એક સપ્તાહ પછી પણ સેંકડો લોકોની ભાળ ભાળ મળી નથી તેને ધ્યાનમાં લેતા મોકાવામાં પૂરથી મૃત્યુઆંક 2024ના આંકડાથી પણ વધી શકે છે, જ્યારે સમગ્ર દેશમાં 321 લોકો પૂરથી મોતને ભેટ્યા હતા.
મોકાવામાં આફત ત્રાટક્યાના દિવસો પહેલા જ નાઈજિરિયાની હવામાન એજન્સીએ દેશના 36 રાજ્યોમાંથી નાઈજર સહિત 15 રાજ્યોમાં બુધવારથી શુક્રવારના ગાળામાં ભારે પૂર આવી શકે તેવી ચેતવણી આપી હતી.