નવી દિલ્હીઃ હમણાં સુધી ભારતની ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઇકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થયું હોવાની ગાઇવગાડીને જાહેરાત કરનાર પાકિસ્તાન હવે જાતે જ પોલ ખોલવા લાગ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે હવે ખુદ કબૂલાત કરી છે કે ભારતીય સેનાએ તેના નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો હતો. શહેબાઝ શરીફે સ્વીકાર કર્યો હતો કે ભારતીય મિસાઈલોએ તેમના નૂર ખાન એરબેઝ સહિતના લશ્કરી હવાઈ મથકો પર મિસાઈલ હુમલા કર્યા હતા. ન્યૂઝ એજન્સીએ શેર કરેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે વડાપ્રધાન શરીફ એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા અને પાક. સેનાના અધિકારીઓ પણ તેમાં શ્રોતાઓ તરીકે હાજર હતા. શહેબાઝ શરીફ આ ઓડિયોમાં એવું કહેતા સાંભળવા મળે છે કે તારીખ 9 અને 10 મેની વચ્ચેની રાત્રે લગભગ 2.30 વાગ્યાના સુમારે જનરલ મેજર અસીમ મુનિરે મને સિકયોર લાઈન પર કોલ કર્યો હતો અને મને જણાવ્યું હતું કે ભારતની બેલેસ્ટિક મિસાઈલો નૂર ખાન એરબેઝ અને અન્ય વિસ્તારો પર ત્રાટકી રહી છે. શરીફે કહ્યું હતું કે આપણી વાયુસેનાએ દેશને બચાવવા દેશમાં જ નિર્મિત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેઓએ ચાઈનીઝ યુદ્ધ વિમાનો પર આધુનિક ગેઝેટ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.
સિઝફાયરની માગ ભારતે કરી હતી
જોકે પાક. વડાપ્રધાને જૂઠાણાની હદ પાર કરતાં એવો દાવો કર્યો હતો કે તેઓ સવારે સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે જનરલ મુનિરનો ફોન આવ્યો હતો અને તેમણે મને જણાવ્યું હતું કે સામા પક્ષ (ભારત) તરફથી સીઝફાયરની માગ કરાઈ રહી છે. મેં આ માગ તરત જ સ્વીકારીને ‘હા’ કહી દીધી હતી. જોકે, શરીફના આ દાવા સામે હવે પાકિસ્તાનમાં જ સવાલ ઉઠવા લાગ્યા છે.
શરીફના દાવા સામે સવાલ
વડાપ્રધાન શરીફના આ દાવા સામે તેના જ દેશના એક કન્ટેન્ટ ક્રિએટરે સવાલ કર્યો હતો કે આખરે વડાપ્રધાન શરીફે સ્વિમિંગ કરતાં-કરતાં જ કોઇને પણ પૂછ્યા વગર કે કોઇની પણ સાથે ચર્ચા વિના જ સીઝફાયરનો નિર્ણય કઈ રીતે લઇ લીધો હતો! પાકિસ્તાનમાં સવાલ ઉઠી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની કેબિનેટ મીટિંગ અથવા સલાહ વિના વડાપ્રધાને સીઝફાયર માટે હા કઈ રીતે કરી દીધી હતી અને જો આ માટે હા કરી જ દીધી હતી તો તે પછીના કલાકો સુધી પાકિસ્તાનના એરબેઝ પર હુમલા કઈ રીતે ચાલુ રહ્યા હતા?