પાક. આર્મીની હોસ્પિટલમાંથી મસૂદે ઓડિયો ક્લિપ જારી કરી પુલવામા હુમલાનો આદેશ આપ્યો હતો

Monday 18th February 2019 06:08 EST
 
 

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર પાકિસ્તાનના રાવલપીંડી સ્થિત સૈન્ય હોસ્પિટલમાં બેસીને આતંકીઓને કમાન્ડ આપતો હતો. મસૂદે એક ઓડિયો ક્લિપ જારી કરીને આતંકીઓને આ હુમલાનો આદેશ આપ્યો હતો.

હાલ આતંકી મસુદ અઝહર પાકિસ્તાનમાં આર્મી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તે ચાર મહિનાથી બીમાર છે, જેને પગલે યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ (યુજેસી)ની બેઠકમાં પણ ભાગ નહોતો લઇ શક્યો. આ સંગઠન ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવી રહ્યું છે. અને તેની રચના પાકિસ્તાન દ્વારા કરાઇ હતી.

આઠ દિવસ પહેલા જ પુલવામા હુમલા માટે આતંકી તૈયાર થઇ ગયો હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા હતા. આ દરમિયાન એક ઓડિયો ક્લિપ જારી કરીને પુલવામા હુમલા માટે પોતાના આતંકીઓને આદેશ આપ્યો હતો.

ઓડિયો ક્લિપમાં મસૂદ પોતાના ભત્રીજાના મોતનો બદલો લેવાની વાત કરતો જણાય છે. નોંધનીય છે કે ૨૦૧૮માં મસુદ અઝહરના ભત્રીજા ઉસ્માનને સૈન્યએ ઠાર માર્યો હતો. જેનો બદલો લેવા માટે જ મસૂદે આ હુમલો કરાવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. હાલ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ૬૦ જેટલા આતંકીઓ સક્રિય છે.

હજુ ૬૦ આતંકી સક્રિય

કાશ્મીરના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજુ પણ મસૂદ અઝહરના સંગઠન જૈશના ૬૦ જેટલા આતંકીઓ સક્રિય છે, જેમાંથી અબ્દુલ રાશિદ ગાઝી સાથે અન્ય મુખ્ય આતંકીઓ ઉમર, ઇસ્માઇલ પણ છુપાયા છે. એક તરફ મસૂદ અઝહર આતંકી હુમલા કરી રહ્યો છે જ્યારે બીજી તરફ તેને પાકિસ્તાન ખુલ્લેઆમ શરણ આપી રહ્યું છે. એટલું જ નહીં, સૈન્યની પણ તેને મદદ મળી રહી છે. સરહદે પાકિસ્તાન સૈન્ય દ્વારા ગોળીબાર કરીને આતંકીઓને ઘુસાડાઇ રહ્યા છે. પુલવામા હુમલા પાછળ પણ પાકિસ્તાનનો જ હાથ છે અને મસૂદને આઇએસઆઇની મદદ મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter