નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જમ્મુ- કાશ્મીરને મુદ્દે ફરી સંયુક્ત રાષ્ટ્રમાં વિલાપ અને વલોપાત કરવાનું શરૂ કર્યું છે. તેમણે તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર ડોમિસાઈલ કાયદા અંગે રજૂઆત કરી છે. આ વખતે ભારતના ગૃહમંત્રાલયે ગયા મહિને નવા બહાર પાડેલા ડોમિસાઇલ કાયદાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન મખદુમ શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને લખેલા પત્રમાં આક્ષેપ કર્યા છે કે વિશ્વનું ધ્યાન કોરોના વાઇરસ પર ટકેલું છે તે સ્થિતિનો લાભ લઈને ભારત કાશ્મીરના વસતીના માળખા (ડેમોગ્રાફી)ને બદલવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે ભારતે પાકિસ્તાન તરફથી થઈ રહેલા આ આક્ષેપોનો જવાબ નથી આપ્યો.