નવી દિલ્હીઃ પુલવામામાં આતંકી હુમલો થયા બાદ ભારત પેરિસ-સ્થિત ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ને પાકિસ્તાનની વિરુદ્ધ ડોઝિયર સોંપવાની તૈયારી કરી રહ્યું છે. એફએટીએફ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી ફંડિંગના મોનિટરિંગની નિર્ણાયક કામગીરી કરે છે. આમ પણ હાલ પાકિસ્તાન એફએટીએફના શંકાસ્પદ દેશોના ગ્રે લિસ્ટમાં છે અને હવે ભારત પાકિસ્તાન વિરુદ્ધ નક્કર પુરાવા સાથેનું ડોઝિયર સોંપીને તેને બ્લેકલિસ્ટ કરાવવાની તૈયારમાં છે. પુલવામામાં જૈશના ફિદાયીન હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ પુરાવા એકત્ર કરી રહી છે. જેથી એફએટીએફમાં પાકિસ્તાનને બેનકાબ કરી શકાય. જૈશ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન છે. જેનો વડો મૌલાના મસૂદ અઝહર છે. હાલમાં જ બહાવલપુરમાં તેના એક આલીશાન બંગલા અને આતંકી ઠેકાણાનો પત્તો લાગ્યો છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ડોઝિયરમાં જૈશના પાકિસ્તાન સાથેના સંબંધોને ઉજાગર કરાશે અને એ દેખાડાશે કે કઈ રીતે આ આતંકી સંગઠનને પાકિસ્તાન પાસેથી મદદ મળે છે.