બહેરિન ૨૫ઃ વડા પ્રધાન મોદીએ રવિવારે બહેરિનના મનામા ખાતે આવેલા ૨૦૦ વર્ષ જૂના શ્રીનાથજી મંદિરનો ૪૨ લાખ ડોલરના ખર્ચે જીર્ણોદ્ધાર કરવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. નરેન્દ્ર મોદી ગલ્ફ દેશોમાં આગવું સ્થાન ધરાવતા બહેરિનની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડા પ્રધાન છે. વડા પ્રધાન મોદીએ આ પ્રદેશમાં સૌથી જૂના મંદિર મનાતા મનામા-સ્થિત શ્રીનાથજી મંદિર ખાતે પૂજા-અર્ચના કર્યા હતા.
મનામામાં આવેલા આ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી વર્ષાંત સુધીમાં પૂરી કરી દેવાશે. જીર્ણોદ્ધારમાં મંદિરના ૨૦૦ વર્ષના વારસાને દર્શાવવામાં આવશે. નવા નિર્માણ થનારા આ મંદિરમાં ગર્ભગૃહની સાથે પૂજા માટે એક કરતાં વધુ હોલ રહેશે. આ ઉપરાંત હિંદુ લગ્ન સમારંભો અને અન્ય રીતિરિવાજો માટેની સુવિધાઓ આ મંદિરમાં ઉભી કરાશે. બહેરિનને લગ્ન માટે ઉત્તમ સ્થળ તરીકે વિકસાવવા તેમ જ અહીં પ્રવાસનને ઉત્તેજન આપવા હિંદુઓને પ્રોત્સાહન અપાશે.