બાબા સિદ્દીકીની હત્યાનો સૂત્રધાર કેનેડામાં ઝડપાયો

Friday 20th June 2025 11:23 EDT
 
 

મુંબઈઃ મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના સૂત્રધાર ઝિશાન અખ્તર ઉર્ફે મોહમમ્દ યાસીન અખ્તરની કેનેડામાંથી ધરપકડ થઈ છે. 12 ઓક્ટોબર 2024ના રોજ સિદ્દીકીની હત્યા થઈ હતી. આક્ષેપ થઈ રહ્યા છે કે હત્યાના ષડયંત્રમાં તેમજ હત્યામાં સામેલ હત્યારાઓને ઓપરેટ કરવામાં અખ્તરની મોટી ભૂમિકા હતી. અખ્તર જલંધરનો વતની છે. અપરાધિક ઈતિહાસ ધરાવતો ઝિશાન અખ્તર લોરેન્સ બિશ્નોઈ તેમ જ પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ પ્રેરિત ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીનો નજીકનો સહયોગી છે. સિદ્દીકીના હત્યારા ધર્મરાજ કશ્યપ, ગુરમેલ બલજિતસિંહ તેમ જ શિવકુમાર ગૌતમનું સૂત્રસંચાલન અખ્તરે જ કર્યું હોવાના આક્ષેપો છે. અખ્તર પંજાબ જેલમાં સજા કાપી રહ્યો હતો ત્યારે બિશ્નોઈ ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હતો. તે જેલમાં જ અખ્તર અને શૂટર ગુરમેલસિંહ વચ્ચે મુલાકાત થઈ હતી.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે અખ્તર અને ગેંગના અન્ય એક સભ્ય શુભમ લોનકરને સિદ્દીકીની હત્યાનું કામ મે 2024માં જ સોંપી દેવામાં આવ્યું હતું. અખ્તર દેશ છોડીને ભાગવામાં કઈ રીતે સફળ થયો તેની પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલાં સામે આવેલા એક વીડિયોમાં અખ્તરે દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનમાં છે. પોલીસે આપેલી સંખ્યાબંધ રેડ કોર્નર નોટિસને પગલે અખ્તરની ધરપકડ સંભવ બની છે. અખ્તર સામે ભારતની અદાલતમાં કામ ચાલી શકે તે હેતુસર તેને ભારત પરત લાવવા ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter