ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી થતાં બંને દેશોના આર્થિક સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ડિસેમ્બરે ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ સઇદ સાથે મુલાકાત કરી હતી, જ્યાં દ્વિપક્ષીય સહયોગ, વેપાર અને રોકાણને નવી ઊંચાઈ આપવાના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરાઈ. આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન બંને દેશોએ ફ્રી ટ્રેડ ડીલ પર સહી કરી, જેને ભારતના નિકાસ ક્ષેત્ર માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઓમાન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરાયા હતા.
આ કરાર બાદ ભારતનાં અનેક શ્રમપ્રધાન ક્ષેત્રોને મોટો ફાયદો થવાની આશા છે. ખાસ કરીને કાપડ, ચામડાં, જૂતાં, રત્ન-આભૂષણ, એન્જિનિયરિંગ ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, દવાઓ, મેડિકલ ડિવાઇસ અને ઓટો મોબાઇલ સેક્ટર માટે ઓમાનનું બજાર વધુ ખુલ્લું બનશે. વેપાર નિષ્ણાતોના મતે આ કરારથી ભારતની નિકાસ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે.


