નીસ (ફ્રાન્સ)ઃ ભારત અને ફ્રાન્સે રવિવારે યોજાયેલી મંત્રણા બાદ દ્વિપક્ષીય વેપારને વર્તમાન 16 બિલિયન ડોલરથી વધારીને આગામી પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંને દેશોએ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક ‘ઇનોવેશન રોડમેપ’ અને સંયુક્ત ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્રેમવર્ક’ જાહેર કર્યું છે.
બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ વાતચીતમાં કુલ 13 મહત્વના કરારો થયા છે. જેમાં હાઇ-સ્પીડ રેલવે સહયોગ, ક્લાસિફાઇડ ડેટાની સુરક્ષા માટેનો સંરક્ષણ કરાર અને પેરિસ તથા નીસ એરપોર્ટ પર ભારતના યુપીઆઈ પેમેન્ટ નેટવર્કનો વિસ્તાર કરવા માટેની મહત્વપૂર્ણ સમજૂતીનો સમાવેશ થાય છે. બંને દેશોએ ઇનોવેશન રોડમેપ અને સંયુક્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્રેમવર્ક તૈયાર કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત બંને દેશો પેરિસ એરપોર્ટ અને નીસ સુધી ભારતનાં યુપીઆઇ દાયરાને વધારવા સંમત થયા છે.
મોદીએ રવિવારે ફ્રાન્સનાં પ્રમુખ મેક્રોં સાથે એઆઇ, સ્ટાર્ટઅપ્સ, વેપાર, ઇન્ફ્રાસ્ટ્રકચર, મોબિલિટી અને હેલ્થ સહિતનાં વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી હતી તેમ ભારતનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ભારત-ફ્રાન્સ ભાગીદારીને મજબૂત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સનાં પ્રમુખ મેક્રોને દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હ્યુમન સેન્ટ્રિક ઇનોવેશન એન્ડ ટેકનોલોજી વિકસિત કરવા માટે નવી દિલ્હીનાં વિઝિયનને દર્શાવતા જણાવ્યું હતું કે ભારત હવે ફક્ત ગ્લોબલ સોલ્યુશનનું ગ્રાહક નથી પણ તેમાં એક મોટો કન્ટ્રીબ્યુટર છે.બીજી તરફ મેક્રોને જણાવ્યું હતું કે ભારત ઇનોવેશનનો દેશ છે. એઆઇ અને ક્લાયમેટ ચેન્જ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં બંને દેશોની વચ્ચે સાચી ભાગીદારી છે. અમે મેક ઇન ઇન્ડિયા પહેલનું સન્માન કરીએ છીએ. ફ્રાન્સ અનેક ક્ષેત્રોમાં અ પહેલનો ભાગ રહ્યો છે.


