ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો

Saturday 20th June 2026 05:36 EDT
 
 

નવી દિલ્હી: ભારત-શ્રીલંકાના દરિયામાં રામસેતુ આવેલો છે એને તો કેટલાય વર્ષો પહેલાં જ વૈજ્ઞાનિક સમર્થન મળી ચૂક્યું છે. હવે ડીએનએના આધારે માનવ અસ્તિત્વના જે પુરાવા એકઠા થયા છે એમાં પણ રામસેતુના અસ્તિત્વનો સ્વીકાર થયો છે. એટલું જ નહીં, રામસેતુ છેક 57 હજાર વર્ષ પહેલાં પણ હતો એવું તારણ રજૂ થયું છે.
ભારતની બનારસ હિન્દુ યુનિવર્સિટી અને શ્રીલંકાની કોલંબો યુનિવર્સિટી સહિત પાંચ સંસ્થાના સંશોધકોનું આ તારણ ચર્ચાસ્પદ બન્યું છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટી આ સંશોધનમાં મુખ્ય ભૂમિકામાં છે. કુલ શિક્ષણ સંસ્થાનના 16 સંશોધકોએ કરેલા સંશોધનનું આ તારણ છે. આંતરરાષ્ટ્રીય રિસર્ચ જર્નલ ‘પ્લોસ વન’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે જ્યારે માણસોનો સમૂહ આફ્રિકાથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો હતો તે પહેલાં એક જૂથ શ્રીલંકા પહોંચ્યું હતું. હિન્દ મહાસાગરમાં આવેલા ઢાંચાની મદદથી આ જૂથ ભારતમાંથી શ્રીલંકામાં પહોંચ્યું હતું. એ ઢાંચાને આપણે રામસેતુ કહીએ છીએ.
139 જીનોમ સિક્વન્સિસના અભ્યાસમાં જણાયું કે શ્રીલંકામાં લોકો કેવી રીતે પ્રવેશ્યા. એના ચાર તબક્કા મળી આવ્યાં. 57 હજાર વર્ષ પૂર્વે માણસો શ્રીલંકા પહોંચ્યા હતા અને તે માટે ભારતથી રામસેતુનો સહારો લીધો હતો. તે પછી 40 હજાર વર્ષ પૂર્વેના ગુફામાંથી પુરાવા મળ્યા છે. સંશોધકોએ દક્ષિણ ભારતના લોકો અને શ્રીલંકન લોકોના ડીએનએમાં પણ ઘણું સામ્ય શોધી કાઢ્યું છે. આ સંશોધનથી માનવ ઈતિહાસમાં નવા પ્રકરણો ખુલવાની આશા છે.
લાંબાં સમયથી એ ચર્ચાનો વિષય રહ્યો છે કે આફ્રિકાથી નીકળેલા માણસો આખી દુનિયામાં ફેલાયા કેવી રીતે? તેનો માર્ગ ક્યો હતો? છેક ઓસ્ટ્રેલિયા અને ઓશિનિયા સુધી માણસ કેવી રીતે પહોંચ્યો? સંશોધનમાં જણાયું કે તેમનો એક રસ્તો જમીની હતો અને બીજો રસ્તો હતો દરિયાકાંઠો. શ્રીલંકામાં ડીએનએનો અભ્યાસ દરિયાકાંઠાના રસ્તાની થિયરીને સમર્થન આપે છે. સંશોધનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ તારણ કાઢવામાં આવ્યું કે 7000 વર્ષ પહેલાં ખેતી, પશુપાલન અને વેપારની પદ્ધતિ વિકસી ચૂકી હતી અને તે વખતે ભારત-શ્રીલંકા વચ્ચે વેપાર થતો હતો. રસપ્રદ બાબત એ પણ છે કે રામનો સમયગાળો સાડા સાત હજારથી 10 હજાર વર્ષ પૂર્વેનો હોય એવું કહેવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter