વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. મંગળવાર, ૨૦મી ઓકટોબરના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોનાગ્રસ્તોનો કુલ આંક ૪૦૭૮૫૯૧૦, કુલ મૃતકાંક ૧૧૨૪૯૭૩ અને કુલ રિકવર થયેલાઓની સંખ્યા ૩૦૪૫૦૭૬૪ નોંધાઈ છે. મંગળવારના અહેવાલો અનુસાર અમેરિકામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૮૪૬૬૦૬૯, મૃતકાંક ૨૨૫૪૧૧ અને રિકવર થયેલા લોકોની કુલ સંખ્યા ૫૫૧૨૨૨૫ નોંધાઈ હતી. વિશ્વમાં બીજા ક્રમે ભારતમાં કોરોના મંગળવાર સુધીમાં કુલ કેસ ૭૬૨૬૨૬૧ નોંધાયા હતા જ્યારે કુલ મૃતકાંક ૧૧૫૫૫૨ અને રિકવર થયેલા લોકોની કુલ સંખ્યા ૬૭૬૩૪૯૨ નોંધાયો છે. ભારત માટે સારા સમાચાર એ છે કે અમેરિકા કરતાં પણ ભારતમાં કોરોનામાંથી રિકવર થતા લોકોની સંખ્યા વધુ છે.
સોમવારના અહેવાલો પ્રમાણે વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોની સંખ્યા ચાર કરોડના આંકડાને પાર કરી ચૂકી હતી. જોકે ૩ કરોડથી વધુ લોકો રિકવર પણ થયાં હતાં. સોમવાર સુધીમાં વિશ્વમાં કોરોના ૧૧.૧૯ લાખ લોકોનો ભોગ લઇ ચૂક્યો હતો.
સોમવારના અહેવાલ પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા ધરાવતા પાંચ દેશો અમેરિકા, ભારત, બ્રાઝિલ, રશિયા અને આર્જેન્ટિનામાં સંક્રમણના કુલ પૈકી ૫૮ ટકા અર્થાત ૨.૩૫ કરોડ નોંધાયા હતા. જાણકારોનું કહેવું છે કે વિશ્વ કોરોના સંક્રમણના ચોથા મોજા તરફ આગળ વધી ચૂક્યું છે. અમેરિકામાં હાલ ત્રીજુ મોજું ચાલી રહ્યું છે.