નવી દિલ્હીઃ ભારતે પોતાના આર્થિક હિતોનું રક્ષણ થતું ન હોવાથી તેમ જ પોતે રજૂ કરેલા મુદ્દા અંગે કરારમાં કોઈ સ્પષ્ટતા ન હોવાથી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (આરસીઈપી)નો વિરોધ કર્યો છે. સૂત્રોના મતે ટેરિફના જુદા જુદા દરને કારણે રૂલ્સ ઓફ ઓરિજિન સામે ખતરો સર્જાતો હતો જેનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. તેમજ વેપાર ખાધ અને સર્વિસિસ ખુલ્લી મૂકવા માટેના મુદ્દા ઉકેલાયા ન હતા. ટ્રેડ કરારના મુસદ્દા સામે ભારતે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ગૂડ્ઝ પરની ૮૦થી ૯૦ ટકા આયાત જકાત રદ કરવા વાત કરાઈ હતી. સર્વિસીસ અને રોકાણના નિયમો હળવા કરવા માગણી કરાઈ હતી. નીચી કસ્ટમ્સ જકાતને કારણે ભારતમાં ચીજવસ્તુઓની આયાતમાં જંગી વધારો થવાનો ડર હતો. ખાસ કરીને ચીન સાથેની વેપાર ખાધ મોટી છે ત્યારે ભારતે આનો વિરોધ કર્યો હતો.
વેપારને સરળ બનાવવા માટેનો કરાર
આરસીઈપી ૧૬ દેશોની વચ્ચે વેપાર કરાર છે જેમાં આ બન્ને દેશોની વચ્ચે થનાર વેપારને સરળ બનાવી શકાય છે. આ દેશોની વચ્ચે સામુદાયિક વેપારમાં ટેક્સમાં કાપની ઉપરાંત ઘણા પ્રકારની આર્થિક છૂટ આપવામાં આવશે. આ ૧૬ દેશોમાં ૧૦ ‘આસિયાન’ સમૂહના છ દેશ છે જેની સાથે ‘આસિયાન’ દેશોનો મુક્ત વેપાર કરાર છે. મુક્ત વેપાર કરારનો અર્થ બે અથવા તો બે કરતા વધારે દેશોની વચ્ચે આવો કરાર કરાય છે જેમાં આયાત અને નિકાસની સુગમતાને વધારવામાં આવી હોય. આ કરારના સભ્ય દેશો ટેક્સને ઘટાડે છે અને વેપાર માટે અનુકૂળ માહોલ તૈયાર કરે છે. આરસીઈપી કરાર અનુસાર આ ૧૬ દેશોની વચ્ચે એક ઇન્ટિગ્રેટેડ માર્કેટ બનાવવામાં આવશે જે વેપારને સરળ બનાવે છે તેમાં આ દેશોમાં એક બીજા ઉત્પાદન અને સેવા, આસાનીથી ઉપલબ્ધ થઈ શકશે.
ભારત બીજા દેશોને નિકાસ કરતા આયાત વધારે કરે છે
ભારતની સૌથી મોટી પરેશાની ભારતની વેપાર ખોટ છે જ્યારે કોઈ દેશની આયાત તે દેશની નિકાસ કરતા વધારે હોય તો તે સ્થિતિને વેપાર ખોટ ગણાવી શકાય. મતલબ ભારત આ દેશોમાંથી જેટલો સામાન ખરીદે તેનાથી ઓછો વેચે છે. તેમાં સૌથી મોટી વેપાર ખાધ ચીન સાથે છે. ૨૦૧૪-૧૫માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવતાં ભારતની ચીન સાથેની વેપાર ખોટ ૨,૬૦૦ અબજ રૂપિયા હતી જે ૨૦૧૮-૧૯માં વધીને ૩,૭૦૦ અબજ રૂપિયા થઈ ગઈ હતી. ભારત માટે મોટી ચિંતા આર્થિક મંદીની છે.
ભારતનો નિર્યાત વિકાસ દર ૨૦૧૯ પહેલાંના આઠ મહિનામાં ૧૧.૮ ટકા ઘટીને ૧.૪ ટકા પર આવી ગયો હતો. જો આ ઘટાડો ચાલુ રહ્યો તો ભારતની વેપાર ખાધ વધારે વધશે કારણ કે, ભારત બીજા દેશોને નિકાસ કરતા આયાત વધારે કરે છે. બીજી ચિંતા એ છે કે, ભારતીય કંપનીઓનું એક મોટું બજાર મળશે.
ભારતીય કાપડ ઉદ્યોગને પણ ઘણું નુકસાન થયું છે. ખેતી બાદ બીજા નંબરે સૌથી વધુ રોજગારી આપતા કાપડ ઉદ્યોગમાં લગભગ ૧૦ લાખ લોકોની રોજગારી ખતમ થઈ છે. આરસીઈપીની સૌથી વધારે અસર ડેરી અને સ્ટીલ ઉદ્યોગ પર પડવાના આસાર છે. વિદેશોમાંથી સસ્તી ડેરી ઉત્પાદન અને સ્ટીલ આવતા ભારતીય બજારને નુકસાન થશે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનું ક્ષેત્રિય બજાર ‘આસિયાન’ અને બીજા છ દેશોની વચ્ચે પ્રસ્તાવિત આરસીઈપી પરની મંત્રણા અંતિમ તબક્કામાં છે. ડેરી ઉદ્યોગની માગ છે કે, આ મુક્ત વેપાર સમજૂતીથી સ્થાનિક ડેરી ખેડૂતો પર ગંભીર અસર પડશે તેથી આ ક્ષેત્રને આ કરારમાંથી બહાર રાખવામાં આવે.
આરસીઈપી મંત્રણા વર્ષ ૨૦૧૨માં શરૂ થઈ હતી. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, અમારા દેશોની વચ્ચે આરસીઈપી અંગે વાત થઈ છે. પરંતુ ભારતે તેની ચિંતાઓ ચીનની સામે વ્યક્ત કરી હતી. ભારતે આ ચિંતાઓનું નિરાકરણ લાવવાની વાત કરી છે. અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર ખોટને કારણે ચીનને નુકસાન થઈ રહ્યું છે.