નવી દિલ્હીઃ પહલગામ હુમલામાં સંડોવણી બદલ ભારતે લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને યુએનની પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા પ્રયાસો તેજ કર્યા છે. એક ભારતીય ડેલિગેશને યુનાઈટેડ નેશન્સ ઓફ કાઉન્ટરટેરરિઝમ (UNOCT) અને કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટોરેટ (CTED)ના ટોચના અધિકારીઓને મળ્યું હતું અને પહલગામ હુમલાના પુરાવા રજુ કર્યા હતા.
TRF એ યુએન-પ્રતિબંધિત પાક. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું મુખ્ય સંગઠન છે. તેણે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સૂત્રોએ કહ્યું હતું કે, ભારતીય ટેકનિકલ ટીમ ન્યૂ યોર્કમાં છે અને યુએન અને અન્ય ભાગીદાર દેશોમાં ‘1267 પ્રતિબંધ સમિતિ’ની દેખરેખ ટીમ સાથે વાતચીત કરી હતી. ટેક્નિકલ ટીમ UNOCT અને CTEDના ટોચના અધિકારીઓને પણ મળી હતી. UNOCT અને CTEDના ઉચ્ચ અધિકારીઓએ પહલગામ હુમલાની ‘ભારે’ નિંદા કરી હતી અને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ હુમલા માટે જવાબદાર જૂથ તરીકે TRFનો ઉલ્લેખ કર્યો ન હતો.
ભારતનો ઉદ્દેશ્ય દુનિયાને એ બતાવવાનો છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે અને તેના દ્વારા પ્રાયોજિત સંગઠનો જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો નાશ કરવા માટે કેવી રીતે તત્પર છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે આતંકવાદ સામે ચૂપ રહેશે નહીં અને દુનિયાને ચૂપ રહેવા દેશે નહીં.