ડેરા બાબા નાનક/કરતારપુરઃ ભારત અને પાકિસ્તાને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવના ૫૫૦મા પ્રકાશોત્સવે ૯મી નવેમ્બરે કરતારપુર કોરિડોર ખુલ્લો મૂકીને ઈતિહાસ સર્જ્યો છે. દેશના ભાગલાના ૭૨ વર્ષ બાદ ૫૫૦ ભારતીય શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો ગુરુદ્વારા કરતારપુર સાહિબ પહોંચ્યો અને માથું ટેકવ્યું હતું. આ અગાઉ ભારતના પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકમાં વડા પ્રધાન મોદીએ અને પાકિસ્તાનના લારખાના જિલ્લાના કરતારપુરમાં ઇમરાન ખાને કોરિડોનું ઉદઘાટન કર્યું હતું. મોદીએ કોરિડોરની ચેકપોસ્ટથી ૫૫૦ શ્રદ્ધાળુને રવાના કર્યાં, જેમનું ઇમરાને સ્વાગત કર્યું. કોરિડોરના ઉદઘાટન ભાષણમાં મોદીએ પાકિસ્તાન તરફનો કોરિડોર ખૂબ ઝડપભેર તૈયાર કરવા બદલ ઇમરાન અને પાકિસ્તાનના શ્રમિકોનો આભાર માન્યો. ૪ કિ.મી. લાંબો કોરિડોર ૧૧ મહિનામાં પૂરો થયો છે. મોદી ૯મીએ સવારે ૧૧ વાગ્યે ડેરા બાબા નાનક પહોંચ્યા હતા. તેમણે સુલ્તાનપુર લોધીમાં બેર સાહિબ ગુરદ્વારામાં માથું ટેકવ્યું અને અભિનેતામાંથી ભાજપના સાંસદ બનેલા સની દેઓલ સાથે લંગરમાં પ્રસાદ લીધો અને ભજન-કીર્તનમાં ભાગ લીધો.