યુએઇ ‘બ્રહ્મોસ’ અને ‘આકાશતીર’ ખરીદવા તત્પરઃ ભારત સાથે મંત્રણા શરૂ

Wednesday 24th June 2026 08:17 EDT
 
 

નવી દિલ્હી: ઇરાન-અમેરિકા ભીષણ યુદ્ધના પગલે સર્જાયેલા પ્રાદેશિક સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇએ) મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. યુએઇએ પોતાની સંરક્ષણ સજ્જતા મજબૂત કરવા માટે ભારત પાસેથી સુપરસોનિક ‘બહ્મોસ’ ક્રૂઝ મિસાઈલ અને સ્વદેશી ‘આકાશતીર’ એર ડિફેન્સ સિસ્ટમ મેળવવા માટે પ્રારંભિક મંત્રણા શરૂ કરી છે.
એક અહેવાલ અનુસાર ભારત-યુએઇ વચ્ચે યુએઇને ભારતીય ડિફેન્સ સિસ્ટમના સપ્લાય અંગે ચર્ચા ચાલી રહી છે, જેમાં ‘બહ્મોસ’ અને ‘આકાશતીર’ મુખ્ય છે. મધ્ય પૂર્વમાં તાજેતરના ઘર્ષણ અને બદલાતા સુરક્ષા પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને યુએઈ પોતાની સૈન્ય તૈયારીઓને વધુ મજબૂત બનાવવા માટે સક્રિય બન્યું છે. બન્ને દેશો વચ્ચે વાતચીત પ્રારંભિક તબક્કામાં છે, પણ તે ઝડપથી આગળ વધી રહી છે.
ઈરાનના તાજેતરના મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમોને ધ્યાનમાં લેતાં યુએઇ પોતાની સંરક્ષણ ખરીદ નીતિનું પુનઃ મૂલ્યાંકન કરી રહ્યું છે. તે મહત્ત્વના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હોર્મુઝની ખાડીની સુરક્ષા વધુ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે કે જ્યાંથી વિશ્વની મોટાભાગના ક્રૂડ નિકાસ થાય છે. જો આ સોદો અંતિમ તબક્કા સુધી પહોંચશે તો યુએઈને ‘બહ્મોસ’ વેચતા પહેલા ભારતે રશિયાની મંજૂરી લેવી પડશે, કારણ 290 કિમી પ્રહારક્ષમતા ધરાવતી મિસાઈલને બંને દેશોએ મળીને બનાવી છે. અલબત્ત, મોસ્કો (રશિયા) અને અબુ ધાબી વચ્ચેના નજીકના સંબંધોને જોતા આના રસ્તામાં કોઈ અવરોધ આવવાની શક્યતા નથી.
‘બ્રહ્મોસ’ અને ‘આકાશતીર’
‘બ્રહ્મોસ’ વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલોમાંની એક છે, જેને જમીન, સમુદ્ર અને હવામાંથી એમ કોઇ પણ સ્થળેથી દાગી શકાય છે. જ્યારે ‘આકાશતીર’ - સંપૂર્ણપણે ઓટોમેટેડ એર ડિફેન્સ સિસ્ટમ છે, જેને સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારતીય સેનાએ વિકસાવી છે.
બે દેશ સાથે ‘બ્રહ્મોસ’ના કરાર, ચારને ખરીદીમાં રસ
ઓપરેશન સિંદુર પછી ભારતે વિયેતનામ અને ઈન્ડોનેશિયાને ‘બ્રહ્મોસ’ વેચવાના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ચિલી સાથે તેના સોદા અંગે મંત્રણા ચાલી રહી હોવાના અહેવાલ છે. ભારતે આ અગાઉ 2022માં ફિલિપાઈન્સને ‘બ્રહ્મોસ’ મિસાઇલ સિસ્ટમ વેચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter