નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા વચગાળાનાં શાંતિ કરારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યો છે. તેમણે સમજૂતીનું સ્વાગત કરતા કહ્યું કે, હવે દુનિયામાં સ્થિરતા આવશે તેવી આશા છે. મોદીએ સોશિયલ મીડિયા પર X માં લખ્યું હતુંઃ હું પશ્ચિમ એશિયામાં સંઘર્ષને ખતમ કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીને આવકારું છું. આ સંઘર્ષને કારણે આખી દુનિયામાં ગંભીર ઉથલપાથલ મચી છે અને અનેક દેશોમાં જાનમાલને નુકસાન થયું છે. ભારતને આશા છે કે આ સમજૂતીને લાગૂ કરવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં મદદ મળશે તેમજ દરિયાઈ વેપાર માટે અવરજવર તેમજ વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. અમે આશા કરીએ છીએ કે બાકી રહેલા મુદ્દા પર વાતચીત દ્વારા ટકાઉ અને અંતિમ સમજૂતી કરી શકાશે.
ભારત માટે રાહત
• ભારતનો 55 ટકા ક્રૂડ અને 90 ટકા એલપીજીનો પુરવઠો હોર્મુઝમાંથી પસાર થાય છે. હવે આ દરિયાઇ માર્ગ સરળ બનશે. આ શાંતિ સમજૂતીની જાહેરાત પછી ગેસ ભારતીય ટેન્કર ‘દિશા’ હોર્મુઝમાંથી પસાર થનારું પહેલું જહાજ હતું. આ ટેન્કર કતરથી ભારત આવી રહ્યું છે. • અખાતી દેશોમાં 90 લાખ ભારતીય વસવાટ કરે છે. ભારતમાં વિદેશથી આવતા પૈસામાંથી 55 બિલિયન ડોલર એકલા અખાતી દેશોમાંથી જ આવે છે. આ રકમ ભારતમાં આવતા કુલ રેમિટન્સના લગભગ 40 ટકા જેટલી છે.


