વર્ષાંત સુધીમાં ભારત-ઇયુ વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે: ઉર્સુલા

Tuesday 23rd June 2026 05:40 EDT
 
 

એવિયનઃ ફ્રાન્સના એવિયન-લે-બેન્સમાં G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજ્યા પછી યુરોપિયન કમિશન (ઇસી)ના વડા ઉર્સુલા વોન ડેર લેયેને જાહેરાત કરી હતી કે ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચેના મહત્ત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર (FTA) પર 2026ના અંત સુધીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ બેઠકમાં બંને નેતાઓએ નાજુક વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગમાં વધારો કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા પણ હાજર રહ્યાં હતા. બંને પક્ષોએ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાનો પણ નિર્ણય કર્યો હતો. ભારત તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વેપાર કરાર પર ઝડપથી હસ્તાક્ષર કરીને તેનો અમલ કરવો જરૂરી છે, કારણ કે તે વેપાર અને રોકાણ માટે વિશાળ તકો ઊભી કરશે તેમજ વર્તમાન અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં સપ્લાય ચેઇનને વધુ વૈવિધ્યસભર બનાવવામાં મદદરૂપ થશે.
નવી દિલ્હીમાં ભારત અને યુરોપિયન યુનિયને જાન્યુઆરીમાં યોજાયેલી શિખર બેઠક પછી આ મુક્ત વેપાર કરાર માટેની વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. આ કરારને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કરાર વૈશ્વિક GDPના લગભગ ચોથા ભાગને આવરી લેશે. કરાર હેઠળ ભારતમાં યુરોપિયન યુનિયનમાં થતી 99 ટકા નિકાસ પર ટેરિફ ઘટશે, જ્યારે યુરોપિયન યુનિયનમાંથી ભારત આવતી 97 ટકાથી વધુ નિકાસ પર આયાત જકાત પણ ઘટશે. યુરોપિયન યુનિયનના અંદાજ મુજબ આ કરારથી યુરોપિયન નિકાસકારોના ટેરિફ ખર્ચમાં દર વર્ષે લગભગ 4 બિલિયન યુરો જેટલો ઘટાડો થશે.
ભારત માટે AIનો અર્થ છે ‘ઓલ ઈન્ક્લુઝિવ’
સૌનો સમાવેશ, સૌનું કલ્યાણઃ મોદી
G-7 સમિટમાં હાજરી આપવા ગયેલા વડાપ્રધાન મોદીએ પેરિસમાં યુરોપના સૌથી મોટા સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી ઉત્સવ ‘વિવાટેક 2026’ના 10મા સંસ્કરણને સંબોધતાં ભારત-ઇયુ મુક્ત વ્યાપાર કરારને દ્વિપક્ષી વ્યાપાર અને રોકાણ વધારનારું ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ કરાર દ્વિપક્ષી વેપારને નવી ઊંચાઈ પર લઈ જવા સાથે બંને અર્થતંત્રોમાં રોકાણના નવા માર્ગો પણ ખોલશે. 2026નું વર્ષ ભારત-યુરોપ સંબંધો માટે ઘણું ખાસ છે. ભારત ટેક્નોલોજીના જોરે ઝડપથી બદલાઈ રહ્યું છે. પેરિસના મશહૂર એફિલ ટાવર અને એરપોર્ટ પર પણ યુપીઆઈ દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. ડિજિલોકર પણ આજે દુનિયા સમક્ષ એક ઉદાહરણ બન્યું છે. ‘ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ’ બંને ક્ષેત્રોની ટેક ઇકોસિસ્ટમને જોડવાનું કામ કરી રહ્યું છે. ભારત ‘વિવાટેક 2026‘માં AI કન્ટ્રી પાર્ટનર તરીકે સામેલ થયું છે. વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ટેક્નોલોજી એવી હોવી જોઈએ કે જે સૌના કામમાં આવે. તેમણે એઆઇની નવેસરથી વ્યાખ્યા કરતા કહ્યું કે ભારત માટે AIનો સીધો અર્થ ‘ઓલ ઇન્કલુઝિવ' એટલે કે સૌનો સમાવેશ અને સૌનું કલ્યાણ છે. ભારત-ઇયુ મુક્ત વ્યાપાર કરાર ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટૂરિઝમના આદાન-પ્રદાન માટે નવા રસ્તાઓ તૈયાર કરશે. આ વર્ષે ‘ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ’ની શરૂઆત સાથે ફ્રાન્સ અત્યંત મહત્વપૂર્ણ પુલની ભૂમિકા ભજવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter