નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ ફરી વાતચીત શરૂ થયા બાદ મોદી સરકારે સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાનની ચિંતાઓને સંપૂર્ણ રીતે દૂર કરવા પ્રયાસ કર્યો છે. ભારતે પાકિસ્તાન સુધી વહેતી નદીઓ પર બનાવાઇ રહેલી વીજ પરિયોજનાઓ અંગે પાકિસ્તાનને આશ્વાસન આપ્યું છે.
નવી દિલ્હીમાં સિંધુ આયોગની બેઠક યોજાઈ હતી જેમાં પાકિસ્તાને પકલ દુલ સહિત ભારત તરફથી બનાવાઇ રહેલી વીજ પરિયોજનાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનથી 6 સદસ્યોનું એક દળ ભારત આવ્યું હતું. પાકિસ્તાનની માગ હતી કે સિંધુ જળ સંધિ નિયમો અંતર્ગત પૂરના પાણીના વહેણ અંગે આગોતરી જાણ કરાય, જે વ્યવસ્થા 1989થી 2018 સુધી અમલમાં હતી. ભારતીય પક્ષકારોએ આશ્વાસન આપ્યું કે પૂરની સિઝનમાં તે પાકિસ્તાની દળને મુલાકાત લેવા અને નિરીક્ષણ કરવાની મંજૂરી આપશે. ભારત સરકારે કહ્યું કે પાકિસ્તાન તરફથી ઉઠાવાયેલા અન્ય વાંધાઓ ધ્યાને લેવાઈ રહ્યા છે. ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી બેઠકમાં તે અંગે ચર્ચા થશે.
ભારતે પાકિસ્તાની દળને કહ્યું હતું કે વીજળી પરિયોજનાના પ્રોજેકટ સંધિના નિયમો અનુસાર છે. બેઠકમાં બન્ને દેશે સિંધુ જળ સંધિને તેની વાસ્તવિક ભાવના અનુસાર કાર્યરત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનમાં તખતાપલટ બાદ નવા વડા પ્રધાન શાહબાઝ શરીફના રાજમાં બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં સુધારાનો દૌર શરૂ થયો છે.