નવી દિલ્હીઃ શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન મોદીએ ૮મીએ જણાવ્યું કે, આતંકવાદ આપણા ક્ષેત્ર માટે એક મોટો ખતરો છે. આપણે બંને દેશોએ આ સમસ્યાનો સાથે મળીને સામનો કર્યો છે. ગત વર્ષે એપ્રિલમાં ઈસ્ટર ડે પર દર્દનાક અને બર્બર આતંકી હુમલાઓ થયા હતા. આ હુમલા ફક્ત શ્રીલંકા પર જ નહીં પણ આખી માનવજાત પર એક આઘાત સમાન હતા. શ્રીલંકા તમિલ લોકોની આશા-અપેક્ષાઓ પૂરી કરશે તેવી ભારતને પૂરી આશા છે. મોદીએ કહ્યું કે આજની વાતચીતમાં અમે શ્રીલંકામાં સંયુક્ત આર્થિક પરિયોજનાઓ પર તથા પારસ્પરિક આર્થિક, વ્યાવસાયિક અને રોકાણ સંબંધોને વધારવા માટે વિચાર વિમર્શ કર્યો હતો. અમે પીપલ્સ ટુ પીપલ્સ સંપર્ક વધારવા તથા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને જોડાણને વધારવાના મુદ્દે ચર્ચા કરી હતી.
વડા પ્રધાને કહ્યું કે મને વિશ્વાસ છે કે શ્રીલંકા સરકાર યુનાઇટેડ શ્રીલંકાની અંદર સમાનતા, ન્યાય, શાંતિ અને સન્માન માટે તમિલ લોકોની અપેક્ષાઓ પૂરી કરશે. શ્રીલંકાના વિકાસ પ્રયાસોમાં ભારત એક વિશ્વસનીય ભાગદીર છે. ગત વર્ષે જાહેર નવી લાઇન્સ ઓફ ક્રેડિટથી અમારા વિકાસ સહયોગને વધારે બળ મળશે.