અમદાવાદ, લંડનઃ લોકડાઉનના કારણે અમૃતસર અને અમદાવાદમાં અટવાઈ પડેલા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પરત લઈ જવા ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસે (FCO) શુક્રવાર ૧૦ એપ્રિલે ભારત સરકારના સહયોગમાં ચાર્ટર્ડ ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. આ ડાયરેક્ટ ફ્લાઈટ્સ ૧૩, ૧૭ અને ૧૯ એપ્રિલે પંજાબના અમૃતસરથી લંડન જવા રવાના થશે. આ ફ્લાઈટ્સમાં તમારી બેઠકના બૂકિંગ માટે https://bit.ly/2RqxIAr ની મુલાકાત લેવા વિનંતી છે. જ્યારે ગુજરાતના અમદાવાદથી લંડન સુધી ડાયરેક્ટ ફ્લાઈટ્સ ૧૩ અને ૧૫ એપ્રિલે રવાના કરાશે. આ ઉપરાંત, હૈદરાબાદથી અમદાવાદ થઈને લંડન સુધીની વધુ એક ફ્લાઈટ ૧૭ એપ્રિલે રવાના થનાર છે. આ ફ્લાઈટ્સમાં તમારી બેઠકનું બૂકિંગ કરાવવા માટે https://bit.ly/39ZcAaO ની મુલાકાત લેવા વિનંતી છે.
ભારતમાં કોરોના વાઈરસ લોકડાઉનના કારણે હજારો બ્રિટિશરો અટવાઈ પડ્યા છે જેમણે તેઓને વેળાસર સ્વદેશ લઈ જવા યુકે સરકારને વિનંતી કરી હતી. NHS દ્વારા તેમને પ્રીસ્ક્રાઈબ કરાયેલી દવાઓ ખૂટી પડવાથી માંડી ખોરાકી પૂરવઠાની અછત તેમજ ઘણા કિસ્સામાં હોટેલ ખાલી કરવા પડેલી ફરજ સહિતના કારણોસર આ બ્રિટિશ નાગરિકો પાસે આ કપરા સમય અને સંજોગોમાં વતન પરત ફરવા સિવાય કોઈ માર્ગ રહ્યો ન હતો.
રાજ્યોના અંતરિયાળ વિસ્તારો તેમજ અન્ય જિલ્લાઓ, શહેરો, ગામડાંમાં અટવાઈ પડેલા બ્રિટિશરોને સેન્ટ્રલ એરપોર્ટ્સ કેન્દ્ર સુધી લવાય તેની ચોકસાઈની પોતાની જવાબદારી હોવાને સરકારી સૂત્રોએ સમર્થન આપ્યું હતું. મોટા ભાગના ભારતીય રાજ્યોમાં લોકડાઉન ૧૪ એપ્રિલથી મહિનાના અંત સુધી લંબાવશે તેવા નિર્દેશરૂપ અહેવાલો છે ત્યારે ભારતની કેન્દ્ર સરકાર, સ્થાનિક રાજ્ય સરકારો તેમજ પોલીસ દળોના સહકારથી ફોરેન ઓફિસ આ પ્રક્રિયામાં સંકલન કરી રહેલ છે.
બૂકિંગ્સની શરૂઆત તાજેતરમાં જ થઈ હોવાથી આ ફ્લાઈટ્સ મારફત કુલ કેટલી સંખ્યામાં પ્રવાસીઓને પરત મોકલી શકાશે તેનો આંકડો અધિકારીઓએ આપ્યો નથી. જોકે, તેઓ માને છે કે દરેક ફ્લાઈટમાં ૨૦૦ કે થોડા વધુ પેસેન્જરને મોકલી શકાશે. વૃદ્ધો, વિકલાંગો-અશક્તો અને અન્ય બીમારીથી પીડાતા પ્રવાસીઓને પ્રથમ પસંદગી અપાશે. બોર્ડિંગ પ્રોસેસ પહેલા પ્રવાસીઓનું યોગ્ય પરીક્ષણ કરવામાં આવશે અને ફ્લાઈટમાં દરેકને પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (PPE) પણ પૂરા પાડવામાં આવશે.
https://etm.eventsair.com/uk-government-charter-india/fco-744-amritsar-charter/Site/Register
https://etm.eventsair.com/uk-government-charter-india/fco-835-charter-ahmedabad/Site/Register