નવી દિલ્હી, લંડનઃ ટ્વેન્ટી૨૦ આઈપીએલ ટૂર્નામેન્ટના પૂર્વ કમિશનર અને મનિ લોન્ડરિંગના આક્ષેપનો સામનો કરી રહેલા લલિત મોદીએ એક ન્યૂઝ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તેને ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોઇ નોટિસ આપી નથી અને ઇન્ટરપોલની નોટિસની વાત પણ બકવાસ છે.
લલિત મોદીએ કહ્યું હતું કે ‘આઈપીએલમાં દાઉદ અને મયપ્પન સાથે મળીને સટ્ટાબાજીનું મહાકૌભાંડ ચલાવી રહ્યા છે.’ દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ આખા ભારતમાં સટ્ટાબાજીનું રેકેટ ચલાવી રહ્યા છે. આ બંનેના સંબંધ ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયેલા એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન્ સાથે પણ છે. આ કેસમાં મને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોઈ સમન્સ મળ્યા નથી. મારું ભારત નહીં જવાનું કારણ અંડરવર્લ્ડ છે મને તેનાથી જીવનો ખતરો છે.
મોદીએ કહ્યું હતું કે મારી સામે મુંબઈની એક અદાલતનું બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરાયું હતું. મને ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ ફટકારવામાં આવે એવું ઈચ્છતી ઈડીએ જ હજુ સુધી મારા પર કોઈ આરોપ મૂક્યા નથી. આજની તારીખ સુધી મને કોઈ સમન્સ જ નથી મળ્યું. ઈડી કેમ કાયદેસરની પ્રક્રિયાને અનુસરીને મને સમન્સ નથી પાઠવતી? એવો સવાલ તેણે ઉઠાવ્યો હતો.