મુંબઈ, લંડનઃ ઓસ્કાર નોમિનેટેડ કર્ણાટકી ગાયિકા બોમ્બે જયશ્રી બ્રેઈન એન્યુરિઝમના કારણે લંડનમાં હોટેલના રૂમમાં બેભાન થઈ ગયા પછી તેમને તત્કાળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં તેમનાં પર કી-હોલ સર્જરી કરાયાં પછી તેમની સ્થિતિ સુધારા પર રહી હતી. 58 વર્ષીય ગાયિકા એક દાયકા પછી ઈંગ્લેન્ડમાં પરત ફર્યા હતાં. તેઓ 24 માર્ચે લંડનના ટુંગ ઓડિટોરિયમ, યોકો ઓનો લેનોન સેન્ટર, યુનિવર્સિટી ઓફ લિવરપૂલ ખાતે પરફોર્મ કરવાના હતાં. ખ્યાતનામ ગાયિકાને તાજેતરમાં જ ચેન્નાઈમાં ધ મદ્રાસ મ્યુઝિક એકેડેમી દ્વારા 2023 માટે પ્રતિષ્ઠિત સન્માન ‘સંગીત કલાનિધિ’ એનાયત કરાયું હતું.
તેમને ‘લાઈફ ઓફ પાઈ’ ફિલ્મ માટે ‘પાઈજ લલાબી’ ગીત માટે ઓસ્કાર નોમિનેશન અપાયું હતું. તેમનો અવાજ વિશિષ્ટ હતો અને દક્ષિણની ચારેય ભાષા અને હિન્દીમાં ગીતો ગાઈ શકતાં હતાં. તેમને 2021માં ભારતના ચોથા ક્રમના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘પદ્મશ્રી’ એનાયત કરાયો હતો.