અમદાવાદઃ ૨૦૧૭માં ૫.૨૬ લાખ ભારતીયોને યુકેના વિવિધ વિઝા મળ્યા છે. જે અત્યાર સુધીના વિઝાથી સૌથી વધુ છે. ગત વર્ષ કરતાં આ સંખ્યામાં ૧૦ ટકા જેટલા વધારો છે. સ્ટુડન્ટ વિઝામાં તો ૨૮ ટકાના વધારા સાથે ૧૪૫૦૦ વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસના વિઝા મેળવ્યા હતા. જ્યારે વિઝિટર્સ વિઝામાં ૧૧ ટકાના વધારા સાથે કુલ ૪.૨૭ લાખ ભારતીયોને બ્રિટિશ વિઝા મળ્યા છે. નોકરી માટેના વિઝા પણ ૫૯ હજાર ભારતીય યુવાનોને મળ્યા છે. જે દર્શાવે છે કે ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે.
આ સમગ્ર મામલે ભારતમાં સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્કિવથે જણાવ્યું હતું કે, ‘આ આંકડાઓ બન્ને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો મજબૂત થઈ રહ્યા હોવાનું જણાવે છે. એ વાતનો પણ વિશેષ આનંદ છે કે નોકરી, સ્ટડી, બિઝનેસ કે ટૂર માટે યુકેની પસંદગી ભારતીયો વિશેષ પ્રમાણમાં કરી રહ્યા છે. યુકે જવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓમાં ૨૮ ટકાનો વધારો એ વાતનું સૂચક છે કે યુકેની વર્લ્ડક્લાસ યુનિવર્સિટીઓ ફરીથી ભારતીય યુવાનોનું આકર્ષણ બની રહી છે. અમારી વિઝા માટેની સેવાઓ પણ ભારતીયો માટે હંમેશાંથી શ્રેષ્ઠ રહી છે. વિઝા માટે અરજી કરનારા ૯૦ ટકા ભારતીયોને વિઝા ઇસ્યૂ થાય છે. તેમાંય ૯૯ ટકાને તો ૧૫ સર્વિસ ડેઝમાં વિઝા મળી જાય છે. અન્ય કોઈ પણ દેશ કરતાં ભારતમાં અમારા વિઝા એપ્લિકેશન સેન્ટર્સ પણ સૌથી વધુ છે.’