ગુજરાત સરકારના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા બ્રિટીશ કાઉન્સિલ દ્વારા યોજાયેલી યુકે-ઇન્ડિયા પાર્ટનરશીપ્સ ફોરમ અોપોર્ચ્યુનીટીઝ ઇન ઇંગ્લીશ સ્કીલ્સ ફોર એમ્પલોયેબીલીટી - યુકે સ્ટડી ટૂર માટે બ્રિટનના પ્રવાસે પધાર્યા છે. શ્રી ચુડાસમાની યાત્રા તા. ૧૯થી શરૂ થઇ હતી અને તેઅો તા. ૨૪ના રોજ ભારત પરત થશે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' કાર્યાલય ખાતે તા. ૨૨-૧-૧૫ના રોજ સાંજે તેમના સ્વાગત સમારોહનું આયોજન કરાયું છે. શ્રી ચુડાસમા આપણી લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટના પ્રશ્નને ટેકો આપે છે અને સંપૂર્ણ સમર્થન કરે છે. (જુઅો વિશેષ અહેવાલ પાન ૧૭)
તા. ૮મી મે, ૧૯૫૦ના રોજ જન્મેલા શ્રી ચુડાસમાએ બીએ, બીએડ અને એલેલબીનો અભ્યાસ કરેલો છે અને વકિલ તરીકે સેવાઅો આપે છે. તેમણે ૧૯૬૦થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક અને જનસંઘના અદના કાર્યકર તરીકે સેવાઅો આપવાનું શરૂ કર્યું હતું. ગત તા. ૨૬, ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ચોથી વખત તેમની શિક્ષણ વિભાગના કેબીનેટ મંત્રી તરીકે વરણી કરાઇ હતી. આ અગાઉ તેઅો ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે અને વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી તરીકે ત્રણ વખત સેવાઅો આપી ચૂક્યા છે.
મંત્રી પદ પૂર્વે તેમણે બહુ મહત્વના સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે સેવાઅો આપી હતી. શ્રી ચુડાસમા ભારતીય જનતા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજીત ‘‘વિશ્વમંગલ ગૌ ગ્રામ યાત્રા’’ પ્રદેશના સંયોજક અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે પણ સેવાઅો આપે છે.
આ ઉપરાંત તેમણે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના મહામંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ, અમદાવાદ જીલ્લા પ્રમુખ, પ્રદેશ મંત્રી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે સેવાઅો આપી ચૂક્યા છે. રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેમણે ૧૯૭૫ થી ૧૯૮૦ દરમિયાન ધોળકા નગરપાલિકા સદસ્ય તરીકે કરી હતી.
શ્રી ચુડાસમા આ અગાઉ યુ.એસ.એ., યુનાઇટેડ કિંગડમ, ઇઝરાયેલ, બેલ્જીયમ, કેનેડા, સ્પેન અને સ્વીડનની મુલાકાત લઇ ચૂક્યા છે.
શ્રી ચુડાસમાને 'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ'ના વાચક મિત્રો તેમજ પરિવાર તરફથી શુભકામનાઅો.
Bhupendra-Sinh-Chudasama-24-1-15-KR