• સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાને ૧૯૧૧થી ૧૯૪૮ સુધી હૈદરાબાદ પર શાસન કર્યું હતું. • તેઓ તે સમયના સૌથી ધનાઢ્ય લોકોમાં એક હતા અને તેમની સંપત્તિ ૧૮૭ બિલિયન પાઉન્ડ (૨૩૦ બિલિયન ડોલર) હતી.
• એક સમયે તેની પાસે ૧૦૦ મિલિયન પાઉન્ડના મૂલ્યના સોના અને ચાંદી તેમજ ૪૦૦ મિલિયન પાઉન્ડના મૂલ્યના જ્વેલ્સ હતા, જેનું વર્તમાન મૂલ્ય ૩૦ બિલિયન પાઉન્ડથી વધુ ગણાય.
• તેની પાસે એટલી બધી જ્વેલરી હતી કે તેના મોતીથી પિકાડેલી સર્કસને આવરી લેવાય. તે પોતાના શયનખંડમાં પન્નાના રત્નો ખાખી પાર્સલોમાં ભરી રાખતા હતા.
• નિઝામ એટલા ધનવાન હતા કે ૫૦ મિલિયન પાઉન્ડની કિંમતના ૧૮૫ કેરેટના પ્રસિદ્ધ જેકોબ ડાયમન્ડનો ઉપયોગ પેપરવેઈટ તરીકે કરતો હતો. આ હીરો તેને તેમના પિતાના જૂના મોજામાં મળી આવ્યો હતો.
• જોકે, તેણે બ્રિટિશરોને બે વિશ્વ યુદ્ધમાં ૨૫ મિલિયન પાઉન્ડનું સૌથી ઉદાર દાન આપ્યું હતું.
• ક્વીન એલિઝાબેથના પ્રિન્સ ફિલિપ સાથે ૧૯૪૭માં લગ્ન થયાં ત્યારે નિઝામે ડાયમન્ડ નેકલેસની બહુમૂલ્ય ભેટ આપી હતી.
• તેની પાસે ૫૦ રોલ્સ રોઈસ કારનો કાફલો હતો અને ૮૦ વર્ષની વયે ૧૯૬૭માં તેનું મૃત્યુ થયું ત્યાં સુધી આ કારના કાફલાએ માંડ ૧૦૦૦ માઈલનું અંતર કાપ્યું હતું. આ ઉપરાંત, તેની પાસે અન્ય ૧૫૦ કારનો કાફલો પણ હતો.
• ચેઈન સ્મોકર નિઝામ ખરેખર તરંગી સ્વભાવના હતા. મહેલના બેઝમેન્ટમાં જૂની પેટીઓમાં રખાયેલી ત્રણ મિલિયન પાઉન્ડની બેન્ક નોટ્સ ઉંદરોએ કાતરી નાખી હતી. આ વાતની જાણ કરાઈ ત્યારે નિઝામનું રુંવાડુ પણ ફરક્યું ન હતું.
• તેમના એક મહેલમાં જ ૧૨,૦૦૦ જેટલા લોકો નોકરી કરતા હતા. તેમણે પોતાની સુરક્ષા માટે ૩૦૦૦ નોર્થ આફ્રિકનોનું અંગત લશ્કર રાખ્યું હતું. તેમણે ૩૮ લોકોને પેલેસના ઝુમ્મરો પરથી ધૂળ સાફ કરવા માટે જ નોકરીએ રાખ્યા હતા. પાણી લાવવા તેમજ માનીતા અખરોટ તોડવા માટે પણ અલગ અલગ નોકરો રાખ્યા હતા.
• તેઓ સતત બળવાના ભય હેઠળ જીવતા હતા. તેમણે પોતાના પેલેસના બગીચાઓમાં તાડપત્રીઓ બાંધેલી, કાટ ખાધેલી લોરીઝ ગોઠવી હતી. આ ટ્રકોમાં હીરા-રત્નો તેમજ સોનાની પાટો રખાઈ હતી. • નિઝામ સાથે મુલાકાત માટે સોના કે ચાંદીના સિક્કા સ્વરૂપે ખાસ ભેટ લઈ જવી પડતી હતી. તે વર્ષમાં ચાર વખત ભવ્ય કાર્યક્રમો ગોઠવતો જેમાં હજારોની સંખ્યામાં ધનવાનો હાજર રહેતા હતા. આ બધા પાસેથી તે સિક્કાઓ મેળવતો હતો.
• તેણે એક વખત કોથળાં ભરેલાં મોતીઓની ચમકને જાળવવા બહાર કાઢવા આદેશ આપ્યો હતો. આ કામમાં નોકરોને ત્રણ દિવસ લાગ્યા હતા. આ સંગ્રહનું મૂલ્યાંકન કરવા તેણે ડચ નિષ્ણાતને બોલાવ્યો હતો. તેણે ૨૫,૦૦૦ પાઉન્ડની ફી માગી હતી કારણ કે આ કામમાં વર્ષો લાગે તેમ હતા. ફી વધારે લાગવાથી આખરે મોતી પાછાં કોથળામાં ભરી લેવાયાં હતાં.
• આટલા ધનવાન હોવાં છતાં નિઝામ ગરીબની માફક જ જીવન વ્યતીત કરતા હતા. વોર્ડરોબ્સ મૂલ્યવાન વસ્ત્રોથી ભરેલાં હોવાં છતાં તેમણે ૪૦ વર્ષ સુધી થીંગડા લગાવેલો કુરતો અને ટોપી પહેર્યા હતા. એલ્યુમિનિયમની પ્લેટમાં જમતો, બીડીઓ પીતો, કદી અફીણની ગોળીનું સેવન કરતા હતા.
• તેમણે એક વખત પોતાના નોકરને નવો ધાબળો ખરીદવા બજારમાં મોકલ્યો, પરંતુ શરત રાખી હતી કે કિંમત ૨૫ રૂપિયા (આજના આશરે ૨૮ પેન્સ)થી વધુ ન હોવી જોઈએ. ધાબળાની કિંમત ૩૫ રૂપિયા હોવાથી નોકર ખાલી હાથે પાછો ફર્યો હતો. નિઝામે જૂના ધાબળાથી કામ ચલાવ્યું.
• આટલી કરકસર છતાં, તેમની સ્ત્રીભૂખ ભારે હતી. તે જીવનકાળમાં ૮૬ રખાતોથી ૧૦૦ પુત્રોના પિતા બન્યા હતા.
• માની ન શકાય પરંતુ, નિઝામના કાળમાં રેલવે, માર્ગો અને એરપોર્ટના વિકાસના નોંધપાત્ર કાર્યો થયાં હતાં.