મુંબઇઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડની છેતરપિંડી કરીને લંડનમાં ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીની વધુ રૂ. ૩૩૦ કરોડની સંપત્તિઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જપ્ત કરવામાં આવી છે. મુંબઈ, લંડન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં આલિશાન ફ્લેટ્સનો તેમાં સમાવેશ થાય છે. ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પૂર્વે ઈડીએ નીરવ મોદીની ૨૩૪૮ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. નવી કાર્યવાહીમાં મુંબઈમાં વરલી વિસ્તારની સમુદ્રમહલ ઈમારતમાં ફ્લેટ, અલીબાગમાં સમુદ્રકિનારે ફાર્મ હાઉસ, રાજસ્થાનના જેસલમેરમાં મોલ, લંડન- યુએઈમાં ફ્લેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ૮ જૂને મુંબઈની વિશેષ કોર્ટે ઈડીને આ મિલકતો જપ્ત કરવાની પરવાનગી આપી હતી.