નવી દિલ્હીઃ બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે આરોગ્ય મંત્રાલયે શનિવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૮થી ૩૦ જાન્યુઆરી વચ્ચે બ્રિટનથી ભારત આવનારા તમામ પ્રવાસીઓએ સ્વખર્ચે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાનો રહેશે. તે ઉપરાંત પ્રવાસના ૭૨ કલાક પહેલાં કરાવાયેલા કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે. તમામ એરલાઇન્સે પ્રવાસીને વિમાનમાં બેસતાં પહેલાં તેની પાસે કોરોના નેગેટિવ ટેસ્ટ છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારતમાં દરેક એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાશે.
ભારત-બ્રિટન વિમાન સેવા
ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઇટ ૮ જાન્યુઆરીથી શરૂ કરવાના એલાનના એક દિવસ બાદ સિવિલ એવિએશન પ્રધાન હરદીપ સિંહ પુરીએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ભારતથી બ્રિટન જતી ફ્લાઇટ છઠ્ઠી જાન્યુઆરીથી શરૂ થઇ જશે, જ્યારે બ્રિટનથી ભારત આવતી ફ્લાઇટ ૮ જાન્યુઆરીથી શરૂ થશે.


