નવી દિલ્હી: ભાગેડુ લીકર બિઝનેસમેન વિજય માલ્યાની એક પુન:વિચાર અરજીને ૩ વર્ષ સુધી સુનાવણી માટે લિસ્ટ ન કરાતાં સુપ્રીમ કોર્ટે પોતાના જ રજિસ્ટ્રાર પાસે તાજેતરમાં જવાબ માગ્યો છે.
જસ્ટિસ યુ. યુ. લલિત અને અશોક ભૂષણની બેન્ચ સામે આ અરજી સુનાવણી માટે આવી હતી. તેના પર બેન્ચે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રારને પુન:વિચાર અરજી સંબંધિત અધિકારીઓના નામ સહિત અન્ય માહિતીઓ આપવા કહ્યું છે. તેના માટે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીનો સમય મંગાયો છે. બેન્ચે કહ્યું કે આ પુન:વિચાર અરજીના દસ્તાવેજોથી સ્પષ્ટ થાય છે કે તેને ત્રણ વર્ષથી સુનાવણી માટે લિસ્ટ જ નથી કરાઈ. સુનાવણી હાથ ધરતાં પહેલાં અમે રજિસ્ટ્રાર પાસેથી એ જાણવા માગીએ છીએ કે તેને ૩ વર્ષ સુધી સુનાવણી માટે સંબંધિત બેન્ચ સમક્ષ લવાઈ કેમ નહીં?