લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા પ્રવાહીથી ભરાઈ જશે. આઈન્સ્ટાઈને આગાહીને પોતાની ભૂલ ગણાવી હતી, જે હવે સાચી હોવાનું વૈજ્ઞાનિકો માનતા થયા છે.
૧૯૧૭માં આઈન્સ્ટાઈને સૂચવ્યું હતું કે ગુરુત્વાકર્ષણની અસરને સંતુલિત કરવા માટે અંતરિક્ષના શૂન્યાવકાશમાં પૂરતી ઊર્જા હોવી જરૂરી છે. પરંતુ, ૧૯૩૧ સુધીમાં તેમણે તેમની આ વાતને ‘સૌથી મોટી ભૂલ’ ગણાવીને ફગાવી દીધી હતી.
જોકે, ૧૯૯૦ના દાયકાથી વૈજ્ઞાનિકો માનતા થયા છે કે આકાશગંગાઓને એકસાથે સાંકળી રાખતા અદ્રશ્ય શ્યામ પદાર્થ અને શ્યામ ઊર્જાના મિશ્રણથી બ્રહ્માંડનો ૯૫ ટકા ભાગ બનેલો છે. જોકે, તેમાંથી એક પણ બાબતનો સીધો પૂરાવો મેળવવામાં વૈજ્ઞાનિકો નિષ્ફળ રહ્યા છે.