લંડનઃ કેમડન બરોમાં શુક્રવાર, ૩૦ જાન્યુઆરીએ ગાંધી શહીદ દિનની ઉજવણી ટાવિસ્ટોક સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી. ઠંડા હવામાન છતાં બ્રિટિશ ભારતીય સમાજના નામાંકિત સભ્યો ગાંધીજીને નિર્વાણદિને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીપ્રતિમા પાસે એકત્ર થયા હતા.
આ કાર્યક્રમનું આયોજન ઈન્ડિયા લીગના સહયોગમાં ભારતીય હાઈ કમિશન દ્વારા કરાયું હતું.
ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈ, કેમડનના મેયર, બ્રિટિશ બારતીય સાંસદો અને ઉમરાવો, ઈન્ડિયા લીગના ચેરમેન અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/ તંત્રી સી.બી.પટેલ, ભારતીય વિદ્યા ભવનના ચેરમેન જોગિન્દર સાંગેર તથા બ્રિટનસ્થિત ભારતીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સહિતનો સમાવેશ થયો હતો. મહાનુભાવોએ ગાંધીપ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી ટુંકા સંબોધનો કર્યાં હતાં. ભારતીય વિદ્યા ભવન (યુકે)ના વિદ્યાર્થીઓ દ્વારા ભજનો અને વેદિક પ્રાર્થનાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.