લંડનઃ વયોવૃદ્ધ લોકો ચાલવાની મુશ્કેલી દૂર કરવા ઘૂંટણની કીહોલ સર્જરી કરાવતા હોય છે. જોકે, બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર ઘૂંટણ માટેની કીહોલ સર્જરી અસરકારક નથી અને તેને તબક્કાવાર દૂર કરવી જોઈએ. વર્ષે આશરે ૧૫૦,૦૦૦થી વધુ વૃદ્ધો ઘૂંટણની કીહોલ સર્જરી કરાવે છે, પરંતુ તેનાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ અને અવરુદ્ધ ધમનીઓનું જોખમ સર્જાય છે.
સંશોધકો કહે છે કે ઘૂંટણમાં સતત પીડા ધરાવતા મધ્ય વયના કે વૃદ્ધ પેશન્ટ્સને સર્જરીનો નગણ્ય લાભ મળે છે અને તે જોખમી નીવડી શકે છે. સર્જરીથી હલનચલનમાં સુધારો થાય છે કે તેનાથી પીડા ઘટે છે તેવું દર્શાવતા વૈજ્ઞાનિક પુરાવા ઓછાં છે. સર્જરીના બદલે કસરત અથવા ફીઝિયોથેરાપી પણ અસરકારક નીવડવાની વધુ શક્યતા છે.