પાંચ લાખ પાઉન્ડની હેરાફેરીઃ અમિત કંસારા કાનૂની સકંજામાં

Tuesday 10th March 2015 14:21 EDT
 
 

લંડનઃ વેમ્બલીમાં બાર્કલેઝ બેન્કના કલાર્ક અમિત કંસારાએ તેના કાર્યકાળ દરમિયાન ઠગોને કસ્ટમર્સના એકાઉન્ટમાંથી પાંચ લાખ પાઉન્ડની ઉચાપત કરવામાં મદદ કર્યાની રજૂઆત ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ કરાઇ છે.
કોર્ટમાં કરવામાં આવેલી રજૂઆત અનુસાર, અમિત કંસારાએ ખુદ આ નાણાકીય હેરાફેરી કરી હતી અથવા તો તેના સાથીઓને કસ્ટમર્સની મહત્ત્વની ખાનગી માહિતી પૂરી પાડી હતી. જોકે અમિત કંસારાએ બેન્કમાં ફરજ દરમિયાન પોતાનો હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાના પાંચેય આરોપ નકાર્યા છે.
અલબત્ત, આ કૌભાંડમાં પોતાની ભૂમિકા કબૂલતા અમિત કંસારાએ એવો દાવો કર્યો હતો કે તેણે ભારે દબાણ હેઠળ આ કામ કર્યું હતું. કંસારાએ અધિકારીઓને એવું જણાવ્યું હતું કે બે એશિયન કસ્ટમર્સ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ પોતાને કારમાં એક સ્થળે લઈ ગયા હતા, જ્યાં હાજર ત્રણ બ્લેક વ્યક્તિઓએ તેને બંદૂકની અણીએ બનાવટી ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરજ પાડી હતી.
પોતાના પરિવારની સલામતીની ચિંતાના લીધે તેણે આમ કર્યું હોવાનો દાવો અમિત કંસારાએ કર્યો હતો.
બે કસ્ટમર્સે તેમના બેન્ક એકાઉન્ટ્સમાંથી ૩૦,૦૦૦ પાઉન્ડ અદૃશ્ય થઈ ગયાની ફરિયાદ કર્યા પછી તપાસ હાથ ધરાઇ હતી અને તેના આધારે અમિત કંસારાને પકડવામાં આવ્યો હતો.
પ્રોસિક્યુટર રિચાર્ડ બેન્ડાલેના જણાવ્યા પ્રમાણે આરોપી અમિત કંસારાએ કોઇ જાતના દબાણને વશ થઇને આ હેરાફેરી કરી છે એવું નથી, પણ ફ્રોડમાં તે મહત્ત્વનો ભાગીદાર હોવાથી તેણે આમ કહ્યું હતું. બેન્ડાલેએ કહ્યું હતું કે ઉચાપત કરાયેલા નાણાં બનાવટી એકાઉન્ટ અથવા તો લાપતા લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતા હતા. આવા સાત વ્યવહારમાં, નાણાકીય ટ્રાન્સફરમાં કંસારાનો યુનિક સ્ટાફ નંબર સંકળાયેલો હતો. અન્ય એક વ્યવહાર કંસારાની પત્નીના વિભાગના કોમ્પ્યુટર દ્વારા એક્સેસ થયો હતો.
કંસારાએ રાજીનામું આપી દીધાના થોડાક મહિનાઓ પછી બેન્કને અન્ય કસ્ટમર્સના ખાતામાંથી ઉચાપતની જાણકારી મળી હતી. બેન્કને આ આર્થિક વ્યવહારોથી ૪૮૨,૦૦૦ પાઉન્ડથી વધુનું નુકસાન થયું હતું. કેસની ટ્રાયલ હજુ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter