સરેના વૈભવી વિસ્તાર ડોકેનફિલ્ડમાં રહેતા સીનિયર ફાર્માસિસ્ટ બીપીન દેસાઈએ તેના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઈને જીવલેણ ફ્રુટ સ્મુધી સાથેનું મોર્ફિનના જીવલેણ ડોઝનું ઈન્જેક્શન આપી હત્યા કરવાના આરોપની સુનાવણી ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટમાં શરૂ થઇ છે. ગયા વર્ષે તા. ૨૭ ઓગસ્ટના રોજ ૧.૩ મિલિયન પાઉન્ડના પારિવારીક ઘરમાં ધીરજલાલ દેસાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ખુદ બિપીન દેસાઇએ પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પિતા ઉંઘમાં મૃત્યુ પામ્યા છે.કોર્ટમાં જણાવાયું હતું કે "તેણે ચેમ્પીયન લીગની માંચેસ્ટર યુનાઇટેડની મેચ જોતા પહેલા પિતા ધીરજલાલને હાઇલી કોન્સનટ્રેટેડ દુ:ખશામક દવા આપી હતી. તે પછી બિપીન દેસાઇએ પિતાને ગુડનાઇટ કિસ કરી હતી અને જીવલેણ ઇંજેક્શન આપી દીધું હતું.”પ્રોસીક્યુટર વિલિયમ બોય્સે કોર્ટમાં જણાવ્યું હતું કે બિપીન દેસાઇને એમ હતું કે તેના પિતાનું મોત કુદરતી લાગશે. સવારે નાટક ખાતર તેમણે પિતા માટે નાસ્તો પણ મૂક્યો હતો અને કામ પરથી પરત થયા ત્યારે તેમણે પિતા ઉંઘમાં જ મૃત્યુુ પામ્યા છે તેમ જણાવતો ફોન પોલીસને કર્યો હતો. તેમને જ્યારે લાગ્યું હતું કે પિતા ધિરજલાલના દેહનું પોસ્ટમોર્ટમ થશે ત્યારે પકડાઇ જવાશે તેમ લાગતા તેઅો પત્ની દિપ્તીબહેન અને બે પુત્ર નિખિલ (૨૧) અને સમીર (૨૦) સાથે પોલીસ સ્ટેશન ગયા હતા અને પિતાને આત્મહત્યા માટે મદદ કરી હોવાનું જણાવ્યું હતું. પિતાના મૃત્યુના બે દિવસ પછી ફાર્માસિસ્ટ દેસાઈની ધરપકડ કરાઈ હતી. ફાર્માસિસ્ટ દેસાઈ કોમ્યુનિટી વોર્ડન અને પેરિશ કાઉન્સિલના પૂર્વ સભ્ય પણ હતા.


