આ ચુકાદાના પરિણામે યુકેમાં બિન-ઈયુ માઈગ્રન્ટ્સનો નવો પ્રવાહ ઉમટી પડે તેવી શક્યતા છે. જોકે, આ ચુકાદો પોતાના દેશની બહાર રહેતા ઈયુ નિવાસીઓના પરિવારજનોને જ લાગુ પડે છે.
યુરોપિયન યુનિયનના રહેવાસીઓના વિદેશી પરિવારજનો માટે યુકેની મુલાકાત અગાઉ પરમિટ લેવાનું ફરજિયાત બનાવી બ્રિટિશ વિઝા સિસ્ટમનો દુરુપયોગ અટકાવવાના કેમરન સરકારના પ્રયાસોને યુરોપિયન જજીસના ચુકાદાએ ફટકો માર્યો છે. આ ઉપરાંત, ઈયુ કાયદાનું અર્થઘટન કરતી કોર્ટના ચુકાદાથી ફ્રીડમ ઓફ મૂવમેન્ટ એટલે કે મુક્ત અવરજવરના નિયમો મુદ્દે પુનઃ વાટાઘાટ કરવાની વડા પ્રધાન કેમરનની શક્તિ પણ ઘટી જશે.
બ્રિટિશ-આઈરિશ નાગરિક મેક્કાર્થીએ દાવામાં જણાવ્યું હતું કે તેમના બન્ને બાળકો બ્રિટિશ છે અને તેમની પત્ની સ્પેનમાં જારી કરાયેલું ઈયુ રેસિડેન્સ કાર્ડ ધરાવે છે છતાં તેને દર વખતે બ્રિટનની મુલાકાત લેવા ફેમિલી પરમિટ વિઝા લેવાની ફરજ પડે છે, જેના કારણે તેના મુક્ત અવરજવરના અધિકારનો ભંગ થાય છે.
માઈગ્રેશન વોચ યુકેના ચેરમેન લોર્ડ ગ્રીન ઓફ ડેડિંગ્ટને જણાવ્યું હતું કે ECJનો આ વધુ એક ચુકાદો છે, જે યુકેમાં પ્રવેશના નિયંત્રણની આપણી શક્તિને નબળી પાડે છે.