ભારતીય દાર્શનિક બસવેશ્વરાના ૮૮૨મા જન્મદિનની ઉજવણી

Tuesday 10th May 2016 06:50 EDT
 
 

લંડનઃ ભારતના ૧૨મી સદીના દાર્શનિક અને સમાજસુધારક બસવેશ્વરા (ઈ.સ.૧૧૩૪-૧૧૬૮)ની ૮૮૨મી જન્મતિથિની લંડનમાં ઉજવણી કરવામાં આવી હતી. લામ્બેથ કાઉન્સિલની પરવાનગીથી પહેલી વખત જ બસવેશ્વરાની જન્મતિથિ બ્રિટિશ ભૂમિ પર સત્તાવાર રીતે ઉજવવામાં આવી હતી. લંડનમાં થેમ્સ નદીના કિનારે ગયા વર્ષે ભારતના ૧૨મી સદીના દાર્શનિક અને સમાજ સુધારક બસવેશ્વરાની પ્રતિમા સ્થાપવામાં આવી હતી.

બ્રિટિશ પાર્લામેન્ટની નજીકમાં ભારતીય દાર્શનિકની પ્રતિમા સ્થાપવા માટે બ્રિટિશ સરકારે વૈચારિક બાબતોને આધારે સૌ પ્રથમ વખત બહાલી આપી હતી. બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય ફિલોસોફરની પ્રતિમા સ્થાપવા સૌપ્રથમ વખત બહાલી અપાઈ હતી. લોકશાહીના આદર્શોને આગળ વધારવામાં, લૈગિંક સમાનતા અને જ્ઞાતિ ભેદભાવ વિરુદ્ધ અભિયાનની ભૂમિકા બદલ બસવેશ્વરાની પ્રતિમાને સ્થાપવાની મંજૂરી અપાઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થેમ્સ નદીના કિનારે બ્રિટિશ પાર્લામેન્ટની પાછળની તરફ આવેલી આ પ્રતિમાનું ૧૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે બસવેશ્વરા ફાઉન્ડેશન યુકે દ્વારા વડાપ્રધાન મોદીના યોગગુરુ ડો. એચ આર નાગેન્દ્ર , સામાજિક કલ્યાણ પ્રધાન અંજેયનાને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા.

સામાજિક કલ્યાણ પ્રધાન અંજેયનાએ બસવેશ્વરાની પ્રતિમાને વિભૂતિ લગાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે બ્રિટનના સાંસદ કિથ વાઝ અને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી બી પટેલ ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતમાં યોગ અને સંશોધનના ક્ષેત્રે પ્રદાન બદલ ડો. એચ.આર. નાગેન્દ્રને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે.

વડાપ્રધાન મોદી કર્ણાટક અને ભારતમાં દુષ્કાળની પ્રવર્તમાન પરિસ્થિતિથી ચિંતિત હોવાના કારણે તેમજ આ પ્રસંગે ભવ્ય ખર્ચની વિરુદ્ધ હોવાથી સમગ્ર કાર્યક્રમ પાછળ માત્ર ૧ પાઉન્ડનું બજેટ રાખવામાં આવ્યું હતું, જે પ્રતિમાને હાર પહેરાવવા માટે ખર્ચાયું હતું.

બસવેશ્વરાની પ્રતિમાની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા લામ્બેથના પૂર્વ મેયર ડો. નીરજ પાટીલે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં કર્ણાટકના દુકાળગ્રસ્ત હતાશ ખેડૂતોને મદદરૂપ થવા માટે નાણા એકત્ર કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter