લંડનઃ ઓક્સફર્ડ ઈન્ડિયા સેન્ટર ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ (OICSD) દ્વારા સોમરવિલે કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં કાર્યકારી હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ‘ઈન્ડિયા ઈન ધ એજ ઓફ ડિસરપ્શન’ વિષય પર પ્રવચન આપ્યું હતું. ઓક્સફર્ડના વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને સંશોધકો સાથે વાતચીતમાં તેમણે વર્તમાનમાં વ્યક્તિઓ, સમાજો અને રાષ્ટ્રો સમક્ષ વિવિધ પડકારો અને તકોની વાત કરવા સાથે વૈશ્વિક વિકાસ માટે ટેકનોલોજી સહિત પરિબળો દ્વારા લવાતાં નવીન પરિવર્તનો સાથે અનુકૂલન સાધવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.
મિ. પટનાયકે ખાસ તો ભારતની વાત કરી હતી, જ્યાં માત્ર ખાનગી ક્ષેત્ર જ નહિ પરંતુ, સરકાર પણ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સહિત માસ ટેકનોલોજિકલ સાધનોને સક્રિયપણે નિયંત્રત કરી તેનો ઉપયોગ અંતરિયાળ ગામોમાં પણ સમાજસેવા પહોંચાડવા કરે છે.
આ લેક્ચરનું આયોજન ઓક્સફર્ડ ઈન્ડિયા સોસાયટી અને સોમરવિલે કોલેજ દ્વારા કરાયું હતું. સોમરવિલે કોલેજના પ્રિન્સિપાલ બેરોનેસ રોયાલ ઓફ બ્લેઈઝડોને ડેપ્યુટી હાઈ કમિશનર પટનાયકનું સ્વાગત કર્યું હતું. ભારત સરકારની ગ્રાન્ટ થકી ૨૦૦૩માં OICSD ની રચના કરાઈ હતી, જેમાં પોષણ, પર્યાવરણ અને આરોગ્યના બહુલક્ષી હેતુઓના સંશોધનોને વેગ આપવા સોમરવિલે અને ઓક્સફર્ડ દ્વારા પણ ફાળો અપાયો હતો. પટનાયકે ભારત સંબંધિત ૫૦૦૦ વર્ષથી વધુ પ્રીન શિલ્પો, ચિત્રો, ધાતુશિલ્પ, સિરામિક્સ, ટેક્સટાઈલ્સ સહિત સુશોભનોનો સંગ્રહ નિહાળ્યો હતો.


