‘વી આર ધ લાયન્સ’ પ્રદર્શનઃ ભારતીય નારીની મક્કમ નિર્ણયશક્તિનું દર્શન

Saturday 31st December 2016 03:41 EST
 
 

લંડનઃ ભારતીય નારીની મક્કમ નિર્ણયશક્તિનું દર્શન કરાવતી ગ્રુનવીક સ્ટ્રાઈક ૪૦ વર્ષ બાદ પણ ખાસ કરીને બ્રેક્ઝિટ વોટ બાદ આપણને હજુ પણ પાઠ શીખવી શકે છે. હડતાળની ઉજવણી અને તેને યાદ કરવા માટે ‘વી આર ધ લાયન્સ’ દ્વારા વિલ્સડન લાઈબ્રેરી ખાતે એક પ્રદર્શન યોજાયું છે. બે વર્ષ ચાલેલી હડતાળ વખતના ન જોયા હોય તેવા ફોટોગ્રાફ્સ, બેનરો, પોસ્ટરો, આર્ટવર્ક્સ, સાઉન્ડટ્રેક્સ, ફિલ્મ્સ અને વર્કરો દ્વારા તેમની વાતો રજૂ કરાઈ છે. આ પ્રદર્શન યુકેમાં ગુજરાતી ઈતિહાસનું એક અલગ સ્વરૂપ દર્શાવે છે.

હડતાળ વિશેના આ અતિ વિશિષ્ટ પ્રદર્શનની આજ સુધીની વિગતોનું સંશોધન અને જાળવણી પૌલોમી દેસાઈ દ્વારા કરાઈ છે. તેમણે માત્ર ૧૨ સપ્તાહમાં આ પ્રદર્શન તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ હડતાળના પ્રદર્શન માટેનો વિચાર ગ્રૂનવીક ઓર્ગેનાઈઝીંગ ગ્રૂપના ચેરવુમન અને ઘણાં વર્ષોથી વિલ્સડનના રહીશ સુજાતા અરોરાને આવ્યો હતો. સુજાતાએ કાઉન્સિલ અને બ્રેન્ટ મ્યુઝિયમનો સંપર્ક સાધ્યો હતો અને તે પછી આગળની કાર્યવાહી થઈ હતી.

તાજેતરમાં ખાસ આમંત્રિતોએ ૧૮ ઓક્ટોબરે આ પ્રદર્શન નિહાળ્યું હતું. તેમાં કેટલાંક હડતાળીયા વર્કરો અને દેખાવકારોએ તેઓ બે વર્ષ સુધી કેવી લડત આપી અને સંગઠિત રહ્યા તે ભૂતકાળ યાદ કર્યો હતો. હડતાળમાં જોડાયેલા જે લોકોએ તે સાંજે આ પ્રદર્શન નીહાળ્યું હતું તેમાં ગ્રૂનવીક સ્ટ્રાઈક કમિટીના સેક્રેટરી મહમૂદ એહમદનો પણ સમાવેશ થતો હતો.

ગત ૧૯ ઓક્ટોબર, ૨૦૧૬થી ધ લાઈબ્રેરી એટ વિલ્સડન ગ્રીન, ૯૫ હાઈ રોડ, વિલ્સડન, લંડન NW10 2SF ખાતે શરૂ થયેલું ‘વી આર ધ લાયન્સ’ એક્ઝિબિશન આગામી ૨૬ માર્ચ, ૨૦૧૭ સુધી નિહાળી શકાશે. મુલાકાતીઓ આ એક્ઝિબિશનમાં વીક ડે દરમિયાન સવારે ૯થી રાત્રે ૮ અને વીક એન્ડમાં સવારે ૧૦થી સાંજે ૫ સુધી નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે. ૨જી નવેમ્બરે SOASમાં ખલીલી લેક્ચર થિયેટર ખાતે સાંજે ૭થી ૯.૩૦ દરમિયાન ‘ધ ગ્રેટ ગ્રુનવીક સ્ટ્રાઈક ૧૯૭૬-૭૮’ ફિલ્મ દર્શાવાયા પછી પેનલ ડિસ્કશન પણ યોજાયું હતું.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં પૌલોમી દેસાઈએ જણાવ્યું હતું, ‘ મેં કેટલાંક રાષ્ટ્રીય દસ્તાવેજો, બ્રેન્ટ મ્યુઝિયમની સાહિત્ય સામગ્રી તથા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા જાહેર ફાઈલ્સનો અભ્યાસ કર્યો હતો. હડતાળમાં જોડાયેલા વર્કરો પૈકી જે લોકોએ તેમના ભૂતકાળ વિશે લખ્યું ન હતું , તેમની પણ વાત કરાઈ છે. આ પ્રદર્શન યુવા પેઢીને લક્ષ્યમાં રાખીને યોજવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે સામાન્ય લોકોના ઈતિહાસને અને એકતા કેવી રીતે સિદ્ધ કરી શકાય તે યાદ રખાશે. આપણા પોતાના ઈતિહાસનો સંવેદનશીલ રીતે અભ્યાસ કરીને તેમાંથી નવું શોધી શકાય’.

૨૦ ઓગસ્ટ, ૧૯૭૬ને શુક્રવારે દેવશી ભૂડિયાની બરતરફીને લીધે જયાબેન દેસાઈએ હડતાળનું નેતૃત્વ સંભાળ્યું હતું. દેખાવો ચરમસીમાએ પહોંચ્યા ત્યારે ગ્રૂનવીક ખાતે માત્ર એક જ સ્થળે પિકેટીંગ માટે ૨૦,૦૦૦ લોકો એકત્ર થયા હતા. હડતાળના ૬૯૦ દિવસ બાદ, ૧૪ જુલાઈ, ૧૯૭૮ના રોજ હડતાળ સમિતિએ હડતાળ સમાપ્ત કરી હતી. ગ્રુનવીક સ્ટ્રાઈકના નેતા જયાબેન દેસાઈનું ૨૦૧૦માં અવસાન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter