લોકડાઉનમાં ફસાયેલા બ્રિટનવાસીઓને લઈને પ્રથમ ફ્લાઈટ લંડન રવાના

Wednesday 15th April 2020 04:58 EDT
 
 

અમદાવાદઃ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૬૫ જેટલા NRI બ્રિટિશ નાગરિકોને ખાસ વિમાન મારફતે ૧૩મી એપ્રિલે લંડન રવાના કરાયા હતા. કોરોના વાઈરસના સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે તમામ પ્રવાસીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. બ્રિટનવાસીઓ લંડન રવાના થયાની ખુશી સાથે દુઃખદ ઘટના એ બની હતી કે એક વૃદ્ધ એનઆરઆઈ પ્રવાસી અનંતની યાત્રાએ પહોંચી ગયા હતા.

૨૬૫ મુસાફરો સાથે પ્રથમ ફ્લાઈટ લંડન રવાના

ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે બ્રિટન દ્વારા સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૩મી એપ્રિલે ૨૬૫ મુસાફરો સાથે બપોરે ૩-૩૦ કલાકે અમદાવાદથી લંડનની પ્રથમ ફ્લાઇટ રવાના થઇ હતી. રજિસ્ટ્રેશન ચેક કર્યા બાદ પ્રવાસીઓની મેડિકલ તપાસ કરાઈ હતી. ત્યારબાદ તમામને સિક્યુરિટી અને ઇમિગ્રેશન માટે મોકલાયા હતા. અમદાવાદ ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશને આ અંગે જણાવ્યું છે કે જે પણ મુસાફરોએ પ્રવાસ ખેડ્યો તેમને લાવવા ખાસ મિની બસ કારની વ્યવસ્થા કરાઈ હતી. એરપોર્ટ પર મુસાફરોનાં હેલ્થ ચેકઅપ કરાયા હતાં. આ ઉપરાંત ફ્લાઈટની ક્ષમતા કરતાં ૧૦ જેટલા વધુ મુસાફરો બોલાવી તેમનું વેઈટિંગમાં નામ રખાયું હતું જેથી કન્ફર્મ પૈકીનો કોઈ મુસાફર ના આવે તો તેમને જવા મળે અને ફ્લાઈટની એક સીટ ખાલી જાય નહીં.
બ્રિટિશ હાઈકમિશનના અધિકારીએ જણાવ્યું કે, બીજા રાઉન્ડમાં ૧૨ ફ્લાઈટ દ્વારા ૩૦૦૦ જેટલા લોકોને લંડન પહોંચાડવાની વ્યવસ્થા કરાશે, તેમ છતાં હજુ પણ દેશમાં બ્રિટિશ નાગરિકોની સંખ્યા વધુ હોવાથી લંડન લઈ જવા માટે ત્રીજો રાઉન્ડ પણ થાય તેવી શક્યતા છે.

ભાડું ન હોવા છતાં ફ્લાઈટમાં લઈ જવાયા

ગુજરાતમાં ફરવા આવેલા અનેક લોકડાઉનને પગલે ફસાઈ ગયેલા કેટલાક પાસે નાણા ખતમ થઈ ગયા હતા. આવા પેસેન્જરોને પણ લંડન લઈ જવાયા છે. તેમની પાસે ડેક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવ્યું છે અને લંડન પહોંચ્યા બાદ તેમની પાસે ભાડું વસૂલાશે.

એરપોર્ટ પર વૃદ્ધની તબિયત નાદુરસ્ત થઈ

લંડન જતી ફ્લાઇટમાં ભરુચથી બ્રિટન જતા ગુજરાતી ૭૭ વર્ષીય વલી મુસા પણ પત્ની અને પુત્ર સાથે મુસાફરી કરવાના હતા. અન્ય ૨૬૫ મુસાફરો જેમ વલી મુસાએ હેલ્થ ચેક અપ બાદ સિક્યુરિટી ચેક સહિતની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી અને તેઓ બપોરે ૧:૫૦ના પેસેન્જર વેઇટિંગ એરિયા તરફ જઇ જ રહ્યા હતા. જોકે વેઇટિંગ એરિયા તરફ પહોંચે એ અગાઉ જ તેમની તબિયત નાદુરસ્ત થવા લાગતાં એરપોર્ટ મેડિકલ ટીમને જાણ કરાઈ હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેડિકલ ટીમે જણાવ્યું છે કે તેમને સૌપ્રથમ લો સુગર-હાઇ બ્લડ પ્રેશરને લીધે ચક્કર આવવા લાગ્યા પછી બેચેની થતાં પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરાઈ હતી. જોકે, ખાસ ફરક નહીં પડતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ૧૦૮નો સંપર્ક કરાયો હતો.
ત્યાંથી તેમને એપોલો હોસ્પિટલ લઇ જવાયા હતા. જોકે હોસ્પિટલના મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે તેઓ હોસ્પિટલ પહોંચે એ અગાઉ જ તેમનું મૃત્યુ થયું હતું. વલી મુસાની સાથે તેમના પત્ની અને યુવાન પુત્ર પણ આ ફ્લાઈટમાં રવાના થવાના હતા, પરંતુ વૃદ્ધનાં મૃત્યુથી પરિજનો પર આભ તૂટી પડયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter