લંડનઃ પંજાબના શીખ સામ્રાજ્યના સ્થાપક અને શાસક મહારાજા રણજિતસિંહને વિશ્વના સૌથી મહાન સર્વકાલીન નેતા તરીકેનું સન્માન પ્રાપ્ત થયું છે. બીબીસી વર્લ્ડ હિસ્ટરીઝ મેગેઝિન દ્વારા લેવાયેલા મતદાનમાં વિશ્વ ઈતિહાસમાં સર્વોત્કૃષ્ટ નેતા તરીકે મહારાજા રણજિતસિંહને ૩૮ ટકાથી વધુ મત મળ્યા હતા. બીજા સ્થાને ૨૫ ટકા મત સાથે આફ્રિકાના એમિલ્કાર કાબરાલ અને ત્રીજા સ્થાને સાત ટકા મત સાથે વિન્સ્ટન ચર્ચિલ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન ચોથા સ્થાને તેમજ બ્રિટિશ રાજવી એલિઝાબેથ પ્રથમ આ મતદાનમાં સૌથી પ્રભાવી મહિલા નેતા તરીકે પાંચમા સ્થાને રહ્યાં હતાં. ઈતિહાસવિદો દ્વારા નોમિનેટ કરાયેલા મહાનુભાવો માટે મેગેઝિનના ૫૦૦૦થી વધુ વાચકોએ પોતાનો મત દર્શાવ્યો હતો.
પંજાબના ૧૯મી સદીના મહાન શીખ શાસક મહારાજા રણજિતસિંહે બ્રિટનના વિન્સ્ટન ચર્ચિલ અને યુએસએના ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકનને પરાજિત કરી વિશ્વના સર્વકાલીન મહાન નેતા તરીકેનું બિરુદ હાંસલ કર્યું છે. બીબીસી વર્લ્ડ હિસ્ટરીઝ મેગેઝિન દ્વારા કરાયેલા મતદાનમાં તેના ૫૦૦૦થી વધુ વાચકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. યુનિવર્સિટી ઓફ અલબામાના ઈતિહાસના આસિસ્ટન્ટ મેથ્યુ લોકવૂડે ‘આધુનિક સહિષ્ણુ સામ્રાજ્ય’ સ્થાપવા માટે મહારાજા રણજિતસિંહને નોમિનેટ કર્યા હતા. આ મતદાનમાં મહારાજાએ ૩૮ ટકા મત મેળવી વિશ્વ ઈતિહાસમાં મહાનતમ નેતા તરીકે સ્થાન હાંસલ કર્યું છે.
ઈતિહાસકારો દ્વારા નોમિનેશન
બીબીસી વર્લ્ડ હિસ્ટરીઝ મેગેઝિને કેટલાક પ્રખ્યાત ઈતિહાસવિદો દ્વારા નોમિનેટ કરાયેલા મહાનુભાવોમાંથી વિશ્વના સર્વોત્કૃષ્ટ નેતાની પસંદગી કરવા તેના ૫૦૦૦થી વધુ વાચકોને અનુરોધ કર્યો હતો. જે નેતાએ લોકકલ્યાણ માટે સત્તાનો ઉપયોગ કર્યો હોય, માનવતા પર અમીટ છાપ ઉપસાવી હોય તેની સાથે જ તેમની સિદ્ધિઓ અને વિરાસતને ધ્યાનમાં લેવા વાચકોને જણાવાયું હતું. યુનિવર્સિટી ઓફ અલબામાના ઈતિહાસવિદ્ મેથ્યુ લોકવૂડે મહારાજા રણજિતસિંહને નોમિનેટ કરવા સાથે તેમને આધુનિકીકરણ અને એકતાના પરિબળ ગણાવી તેમનું શાસન ‘ પંજાબ અને વાયવ્ય ભારત માટે સુવર્ણકાળ’ બની રહ્યાનું જણાવ્યું હતું. મહારાજાએ ૩૮ ટકાથી વધુ મત હાંસલ કર્યા હતા.
આફ્રિકાની સ્વતંત્રતા માટે લડનારા એમિલ્કાર કાબરાલને ૨૫ ટકા મતદારે બીજા ક્રમના સૌથી મહાન સર્વકાલીન નેતા તરીકે સ્થાન આપ્યું છે. સ્વાતંત્ર્યવીર કાબરાલે દસ લાકથી વધુ ગિનીવાસીઓને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરાવવાનો ઝંડો લહેરાવી તેમને એકતાનો પાઠ ભણાવ્યો હતો. તેમણે અન્ય આફ્રિકન દેશોને પણ સંસ્થાનવાદી શાસનની ચુંગાલમાંથી સ્વતંત્ર થવા માટે લડવાની પ્રેરણા આપી હતી. બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલને દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનને ઝડપી નિર્ણશક્તિ અને રાજકીય કાવાદાવા સાથે સર્વોત્તમ નેતૃત્વ પુરું પાડ્યું હતું. તેમના આ યોગદાન માટે વાચકોએ તેમને સાત ટકા મત સાથે ત્રીજું સ્થાન આપ્યું હતું.
યુકે અને યુએસથી માંડી એશિયા અને આફ્રિકાના ઈતિહાસને આવરી લેતા મહાન સર્વકાલીન ૨૦ નેતાની યાદીમાં મોગલ સમ્રાટ અકબર, ફ્રાન્સના અજોડ લશ્કરી નેતા જોન ઓફ આર્ક અને રશિયન સામ્રાજ્ઞી કેથેરાઈન ધ ગ્રેટ, પોપ ઈનોસન્ટ ત્રીજા, માલીના સમ્રાટ માનસા મૂસા, બ્રિટિશ સંસદીય લોકશાહીના હિમાયતી ઓલિવર ક્રોમવેલ, ચીનના સમ્રાટ વુ ઝેટિઆન, બ્રિટિશ રાજવી વિલિયમ ત્રીજા, જાપાની સામંત ઓડા નોબુંગા, ઈજિપ્તના ફેરો એમોનહાટેપ ત્રીજા સહિતનો સમાવેશ કરાયો છે. મેથ્યુ લોકવૂડ, રાના મિટ્ટર, માર્ગારેટ મેકમિલન, ટ્રેસી બોરમાન, જોઆન ફ્લેચર અને ગસ કાસ્લે-હેફૌર્ડ સહિતના વૈશ્વિક ઈતિહાસકારો પાસેથી સત્તાના ઉપયોગ તેમજ માનવતા પર વિધેયાત્મક અસર ઉપસાવનારા ‘મહાન નેતા’ની પસંદગી-નોમિનેશન મંગાવાયા હતા અને તેના પર વાંચકોએ મતદાન કર્યું હતું.
મહાન શીખ શાસક મહારાજા રણજિતસિંહ
મોગલ સામ્રાજ્યની પડતીના સમયે વાયવ્ય ભારત-પંજાબનો વિસ્તાર વિવિધ અફઘાન કબીલાઓ સાથે લડાઈઓથી અરાજકતામાં સપડાયો હતો ત્યારે મહારાજા રણજિતસિંહે ૧૮૦૧-૩૯ના ગાળામાં પંજાબમાં શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ઈતિહાસકાર મેથ્યુ લોકવૂડ તેમના વિશે જણાવે છે કે અફઘાન આક્રમણો, પંજાબના વિવિધ રજવાડાઓમાં આંતરિક લડાઈઓ તેમજ બ્રિટિશ રાજની ઝળુંબતી હાજરીના કાળમાં આ વિસ્તાર રાજકીય અને આર્થિક દૃષ્ટિએ નબળો તેમજ ધાર્મિક તડાંથી ખંડિત હતો. ‘પંજાબના સિંહ’ રણજિતસિંહના ઉદ્ભવ સાથે આ સંજોગો બદલાઈ ગયા હતા.
મહારાજા રણજિતસિંહે શીખ ખાલસા લશ્કરને આધુનિક બનાવ્યું, સ્થાનિક સ્વરુપો અને સંસ્થાઓનું મહત્ત્વ જાળવવા સાથે પાશ્ચાત્ય આધુનિકતાની પહેલોને અપનાવી, લડતા રહેતા રજવાડાઓમાં એકતા સ્થાપી, અફઘાનિસ્તાન સાથે સરહદે સ્થિરતા સ્થાપી તેમજ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે પરસ્પર લાભદાયી સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા હતા. મહારાજા રણજિતસિંહે અમૃતસરમાં સુવર્ણમંદિર સહિત રાજ્યના શીખ ગુરુદ્વારાઓનું પુનર્સ્થાપન કરાવ્યું તેમજ રાજ્યના તમામ સમુદાયો માટે ધાર્મિક સહિષ્ણુતાનું વાતાવરણ સર્જ્યું હોવાનું ઈતિહાસવિદ લોકવૂડે નોંધ્યું હતું.
મહારાજા રણજિતસિંહ સામ્રાજ્યવાદી હોવા છતાં અલગ પ્રકારના, વધુ બૌદ્ધિક અને સમાવેશી આદર્શ રાજ્યના સ્થાપક હતા. તેમનો માર્ગ એકતા અને સહિષ્ણુતા તરફ દોરી ગયો હતો. ૧૮૩૯માં મહારાજાના નિધન પછી બ્રિટિશ આક્રમણના પગલે સહિષ્ણુ શીખ સામ્રાજ્ય ભાંગી પડ્યું અને સમગ્ર વિસ્તારમાં ફરીથી અસ્થિરતા વ્યાપી હતી.
બીબીસી વર્લ્ડ હિસ્ટરીઝ મેગેઝિનના એડિટર મેટ એલ્ટને જણાવ્યું હતું કે,‘ આ યાદીના અન્ય નામોની સરખામણીએ કદાચ વધુ પ્રખ્યાત ન હોવા છતાં આ પોલમાં રણજિતસિંહની અભૂતપૂર્વ સફળતા દર્શાવે છે કે તેમના નેતૃત્વના ગુણો ૨૧મી સદીના વિશ્વમાં પણ લોકોને પ્રેરણા આપતા રહ્યા છે. વૈશ્વિક રાજકીય તણાવના આ વિશ્વમાં રણજિતસિંહનું શાસન સહિષ્ણુતા, સ્વતંત્રતા અને સહકારના આદર્શોનું પ્રતિનિધિત્વ કરતું હોવાનું અર્થઘટન કરી શકાય છે.’