નવી દિલ્હીઃ દેશના ઇતિહાસના સૌથી મોટા આઇપીઓને મુદ્દે ભારત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગયા શનિવારે મળેલી આર્થિક બાબતોની કેન્દ્રીય કેબિનેટે લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઇસી)ના આઇપીઓ માટે ઓટોમેટિક રૂટથી 20 ટકા સુધીના સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને મંજૂરી આપી દીધી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ એલઆઇસીના વિનિવેશ માટે આ નિર્ણય લેવાયો છે.
એલઆઇસી ભારતના ઇતિહાસના સૌથી મોટા આઇપીઓ લોન્ચિંગ માટે 13 ફેબ્રુઆરીના રોજ ‘સેબી’ સમક્ષ ડીઆરપીએચ દાખલ કરી ચૂકી છે. તેમાં જણાવ્યા મુજબ સરકાર પણ પોતાની પાંચ ટકા ભાગીદારી વેચશે. તેની અંદાજિત કિંમત રૂપિયા ૬૩,૦૦૦ કરોડ અંકાઈ રહી છે. વર્તમાન એફડીઆઇ નીતિમાં એલઆઇસીમાં વિદેશી રોકાણ માટે કોઈ ખાસ જોગવાઈ નથી. એલઆઇસીની રચના એલઆઇસી અધિનિયમ, ૧૯૫૬ હેઠળ થયેલી છે. તેથી એલઆઇસી માટે એફડીઆઇનો માર્ગ મોકળો કરવા સરકારે આ નિર્ણય લીધો છે.