નવી દિલ્હી: દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તર ભારત તેમજ મધ્ય અને પશ્ચિમ ભારતનાં કેટલાક રાજ્યોમાં ઝેરી વાયુનું પ્રદૂષણ તેમજ હવાની ગુણવત્તાની સ્થિતિ કથળી રહી હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT) દ્વારા દિલ્હી અને એનસીઆરમાં ફટાકડા વેચવા અને ફોડવા પર ૯મી નવેમ્બરની મધરાતથી ૩૦ નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
દિલ્હી અને એનસીઆર ઉપરાંત નવેમ્બરમાં હવાની ગુણવત્તા ખરાબ કે વધુ ખરાબ હોય તેવા ૪થી વધુ રાજ્યોનાં ૨૪થી વધુ શહેરો અને નગરોમાં પણ ફટાકડા વેચવા અને ફોડવા પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ માટે ગયા વર્ષનાં હવાનાં પ્રદૂષણના આંકડા અને સ્થિતિને ધ્યાનમાં લેવાશે તેમ NGTના ચેરપર્સન જસ્ટિસ આદર્શકુમાર ગોયલે જણાવ્યું હતું. એનજીટીના આદેશ પહેલા જ સિક્કિમ, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઓડિશા અને કર્ણાટક જેવાં રાજ્યોમાં તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.