મુંબઇઃ ભારતીય શેરમાર્કેટના એક એવા ગોટાળાના તાર ચાર વર્ષની તપાસ બાદ ખૂલવા લાગ્યા છે કે જે 1992ના હર્ષદ મહેતા કૌભાંડને પણ પાછળ છોડી શકે છે. આ મામલે સીબીઆઇએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના પૂર્વ ગ્રૂપ ઓપરેટિંગ ઓફિસર (જીઓઓ) આનંદ સુબ્રમણ્યનની ધરપકડ કરી છે.
સુબ્રમણ્યન્ જ હિમાલયના એ ‘અજ્ઞાત યોગી બાબા’ હોવાનું કહેવાય છે કે જેમના ઇશારે એનએસઇના તત્કાલીન સીઇઓ ચિત્રા રામકૃષ્ણ નિર્ણયો લેતાં હતાં. સીબીઆઇ ચિત્રાની તથા એનએસઇના સીઇઓ રવિ નારાયણની દિલ્હીમાં પૂછપરછ કરી રહી છે. કૌભાંડના તાર ખૂલવાનું 2018માં શરૂ થયું હતું કે જ્યારે એનએસઇનો ડેટા એક ચોક્કસ કંપનીને અન્ય બ્રોકર્સ કરતાં પહેલા મળી જતો હતો. આ રીતે જંગી નફો કરાયો હતો. સીબીઆઇએ મે 2018માં ચાર્જશીટ ફાઇલ કરી. તેમાં મેસર્સ ઓપીજી સિક્યુરિટીઝના પ્રમોટર સંજય ગુપ્તા તથા અન્યો ઉપરાંત ‘સેબી’ અને એનએસઇના અજ્ઞાત લોકો વિરુદ્વ આરોપ હતા. ચિત્રા, આનંદ અને રવિનાં નામ નહોતાં. આનંદની નિમણૂક અંગે ‘સેબી’ના તાજેતરના આદેશ બાદ આ ત્રણેયને પુછપરછમાં સામેલ કરાયાં હતા.