લખનઉઃ ઉત્તર પ્રદેશમાં શાસક સમાજદવાદી પાર્ટીના નેતાએ ફરીથી ઉશ્કેરણીજનક નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે. વરિષ્ઠ પ્રધાન આઝમખાને અગાઉની જેમ ફરીથી હિન્દુઓ સામે ઝેર ઓક્યું છે. હિન્દુવાદી સંગઠન આરએસએસને નિશાન બનાવીને આઝમખાને કહ્યું છે કે, હવે મુસ્લિમો માટે સંગઠિત થવાનો સમય આવ્યો છે. આરએસએસના ટુકડે ટુકડા કરવા મુસ્લિમોને એક થવા તેમણે અનુરોધ કર્યો હતો. કેટલાંક સાંપ્રદાયિક લોકો દેવબંદ, બરેલવી અને શિયા તેમ જ સુન્ની મુસ્લિમોને અંદરોઅંદર લડાવવાનો પ્રયાસ કરે છે. સંગઠિત બનીને તેનો જવાબ આપવાનો સમય આવ્યો છે. ઉલેમાઓએ સંગઠિત બનીને સાંપ્રદાયિક તાકાતોને ખતમ કરવાની છે તેમ તેમણે કહ્યું હતું.
આઝમખાને ભાગલા અંગે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. શું લોકોએ બીજાની જેમ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ તેમ, આઝમખાને પૂછયું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અને પાક.ના ભાગલા પછી આજ સુધી મુસલમાન પૂછતો રહ્યો છે કે શું તેણે અન્યોની જેમ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ. આજકાલ રાજકારણ રમનારાં લોકો કહે છે કે જેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા છે તેઓ ત્યાંનાં થઈ ગયાં છે જેઓ અહીં રહ્યાં છે તેમના પર વિશ્વાસ ન કરો.
આજે દરેક મુસ્લિમ વિચારતો થયો છે કે શું હિન્દુસ્તાનમાં રહેવાનો તેનો નિર્ણય સાચો હતો કે ખોટો હતો ? આ તબક્કે ભાજપના ધારાસભ્ય સંગીત સોમે કહ્યું હતું કે, જો આઝમખાનને આટલો બધો વાંધો હોય તો તેણે જ પાકિસ્તાન જતું રહેવું જોઈએ.