અઝીમ પ્રેમજીઃ બિઝનેસના બાદશાહ અને દિલેર દાતા

Wednesday 27th July 2022 08:13 EDT
 
 

અઝીમ પ્રેમજી ભારતનું એક એવું વ્યક્તિત્વ છે, જેને લોકો બિઝનેસમેન તરીકે ઓછા અને પરોપકારી દાનવીર તરીકે વધુ ઓળખે છે. રવિવારે આયુષ્યના 77મા વર્ષ પૂરા કરી 78મા વર્ષમાં પ્રવેશ કરનાર અઝીમ પ્રેમજી ભારત ટોચની આઇટી કંપનીઓમાંની એક વિપ્રો (Wipro)ના સ્થાપક છે. વિપ્રોની નેટવર્થ એક આંકડા અનુસાર લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા છે. એક નાની કંપની કઇ રીતે લાખો કરોડોની મલ્ટી નેશનલ કોર્પોરેશન (MNC)માં પરીવર્તિત થઈ ગઈ, તેને સમજવા માટે તમારે જાણવું પડશે કે અઝીમ પ્રેમજીના જીવનમાં આવેલા દરેક ઉતારચઢાવ. પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત પ્રેમજીના જીવનના સફરમાં સાદગી, ઈમાનદારી, સાહસ અને મહેનતના ઘણા કિસ્સાઓ જોડાયેલા છે.
બિઝનેસમેનના ઘરે જન્મ્યા હતા અઝીમ પ્રેમજી
અઝીમ પ્રેમજીને જાણ્યા પહેલા જરૂરી છે કે તેમના પરિવારનો ઇતિહાસ પણ જાણી લઈએ. તેમનો જન્મ 24 જુલાઇ 1945ના રોજ એક બિઝનેસમેનના ઘરે થયો હતો. તેમના પિતા મોહમ્મદ હાસિમ પ્રેમજી એક નામાંકિત ચોખાના વેપારી હતા. બર્મા (હાલના મ્યાનમાર)માં તેમનો ચોખાનો વેપાર હતો, જેના કારણે તેમને રાઇસ કિંગ ઓફ બર્મા તરીકે ઓળખવામાં આવતા હતા. તે બર્માથી ભારત આવી અને ગુજરાતમાં સ્થાયી થયા. ગુજરાતમાં પણ તેમણે ચોખાનો વેપાર શરૂ કર્યો અને ધીમે-ધીમે તેમની ગણતરી ભારતના ચોખાના ટોચના વેપારીઓમાં થવા લાગી. કહેવાય છે કે 1945માં અંગ્રેજોની અમુક નીતિઓના કારણે તેમને પોતાનો ચોખાનો વેપાર સમેટવો પડ્યો. અઝીમ પ્રેમજીએ 1945માં વનસ્પતિ ઘી બનાવવાનો વેપાર શરૂ કર્યો અને કંપની સ્થાપી. જેનું નામ હતું વેસ્ટર્ન ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ (Western Indian Products Ltd). આ કંપની વનસ્પતિ તેલ અને કપડા ધોવાનો સાબુ બનાવતી હતી.
વિદેશમાં ભણી રહ્યાા હતા, પરંતુ...
સ્વાભાવિક રીતે અઝીમ પ્રેમજીના પરિવારની આર્થિક સ્થિતિ સારી હતી, તો શરૂઆતી જીવનમાં ભણતર દરમિયાન તેમને સમસ્યાઓ આવી ન હતી. મુંબઇમાં પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ કરવા અમેરિકા સ્થિત સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટી ચાલ્યા ગયા. તે સમયે અઝીમ પ્રેમજીની ઉંમર 21 વર્ષ હતી, પરંતુ તેમની સાથે કંઇક એવું થવાનું હતું, જેનાથી તેમનું સમગ્ર જીવન બદલી જવાનું હતું. વાત 1966ની છે, જ્યારે સ્ટેન્ડફર્ડમાં અભ્યાસ કરતી સમયે તેમને જાણવા મળ્યું કે તેમના પિતાનું નિધન થયું છે. અઝીમ પ્રેમજીને સ્વદેશ પરત ફરવું પડ્યું.
જીવનની કપરી પરીક્ષામાં રહ્યા મક્કમ
અઝીમ પ્રેમજી માટે આ સમય સ્વાભાવિક રીતે ખૂબ કપરો હતો. દરેક પગલે તેમના વિશ્વાસ અને સાહસની પરીક્ષા લેવાઇ રહી હતી. માત્ર 21 વર્ષની ઉંમરમાં અઝીમ પ્રેમજીએ કંપની પોતે જ સંભાળવાનો નિર્ણય લીધો. આ નિર્ણયનો વિરોધ કંપનીના જ કોઇ શેરહોલ્ડરે કર્યો. તેણે કહ્યું કે, 21 વર્ષનો છોકરો જેને ખાસ કરીને કામનો કોઇ અનુભવ નથી, તે કંપની કઇ રીતે સંભાળશે. આ વાત 21 વર્ષીય કોઇ પણ યુવકનું મનોબળ ડગાવી શકતી હતી, પરંતુ અઝીમ પ્રેમજીએ તેને એક ચેલેન્જ તરીકે લીધી અને કંપની સંભાળી. તેમણે કંપનીના કાર્યક્ષેત્રને ખૂબ આગળ વધાર્યું.
આઇટી કંપની Wiproનો ઉદય
1977 સુધી વેપાર ખૂબ ફેલાઇ ચૂક્યો અને અઝીમ પ્રેમજીએ કંપનીનું નામ બદલીને વિપ્રો (Wipro) કર્યું. વર્ષ 1980 બાદ એક મોટી આઇટી કંપની આઇબીએમ ભારતમાં વેપાર કરીને નીકળી તો અઝીમ પ્રેમજીએ પોતાની દૂરંદેશીથી સમય પારખી લીધો અને તે ક્ષેત્રમાં આવનાર સમયમાં ઘણો વેપાર અને કામ હશે તેની પરખ પણ કરી લીધી. પછી શું જોઇએ?! વિપ્રોએ એક અમેરિકન કંપની સેન્ટિનલ કમ્પ્યૂટર્સ સાથે મળીને માઇક્રો કમ્પ્યૂટર્સ બનાવવાનું કામ શરૂ કર્યુ. સેન્ટિનલ કમ્પ્યૂટર્સની સાથે ટેક્નોલોજી શેરીંગનો એગ્રીમેન્ટ હતો. થોડા સમય બાદ વિપ્રોએ પોતાના હાર્ડવેરને સપોર્ટ કરતા સોફ્ટવેર બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું.
કાર પાર્કિંગવાળો રસપ્રદ કિસ્સો
અઝીમ પ્રેમજી પોતાના ઓફિસ પરીસરમાં જ્યાં પોતાની કાર પાર્ક કરતા હતા. એક દિવસ કોઇ એમ્પ્લોઇએ ત્યાં કાર પાર્ક કરી દીધી. જ્યારે આ વાતની કંપનીના અધિકારીઓને જાણ થઇ તો તેમણે તે જગ્યાને માત્ર પ્રેમજીની કાર પાર્ક કરવાની જગ્યા તરીકે જાહેર કરી દીધી. આ વાતની જાણ અઝીમ પ્રેમજીને થતા તેમણે આ નિયમને નકાર્યો અને કહ્યું કે, ત્યાં કોઇ પણ પોતાની ગાડી પાર્ક કરી શકે છે. જો મારે ત્યાં મારી ગાડી પાર્ક કરવી છે, તો મારે બીજા કરતા પહેલા ઓફિસ આવવું જોઇએ.
દાન કરવાના મામલે છે કર્ણ જેવી ગાથા
આપણે બધા દાનવીર કર્ણ વિશે જાણીએ છીએ. તેમની પાસે જે પણ વ્યક્તિ માંગવા માટે આવ્યા તે ક્યારેય ખાલી હાથ પરત નથી ફર્યા. અઝીમ પ્રેમજીએ પોતાની કમાણીનો મોટો ભાગ પરોપકારી અને સેવાના કાર્યોમાં લગાવ્યો છે. તે પોતાના ભાગના 60 ટકાથી વધુ શેર તેમના નામથી ચાલતી ફાઉન્ડેશનના નામે કરી ચૂક્યા છે. આ સંસ્થા ભારતના ઘણા રાજ્યોમાં શિક્ષણથી લઇને અનેક કાર્યો કરે છે. અઝીમ પ્રેમજીએ 2019-20માં સેવા કાર્યો માટે દરરોજ લગભગ 22 કરોડ રૂપિયા એટલે કે કુલ મળીને 7904 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. તો 2021માં તેમણે રૂ. 9713 કરોડનું દાન કર્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રતિ દિન રૂ. 27 કરોડ! આ અઝીમ પ્રેમજી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter