શોપિયાઃ કાશ્મીરના શોપિયાં અને અનંતનાગ ખાતે રવિવારે એન્કાઉન્ટરની બે જુદી જુદી ઘટનાઓમાં કુલ પાંચ આતંકીઓને ઠાર કરાયા હતા. શોપિયાંમાં ત્રણ અને અનંતનાગમાં બે આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. શનિવારથી શરૂ થયેલી અથડામણ રવિવાર સવાર સુધી ચાલી હતી. માર્યા ગયેલા આતંકીઓમાં અનંતનાગ જિલ્લામાં આર્મીના જવાનની હત્યા કરનાર આતંકીનો પણ સફાયો કરવામાં આવ્યો હતો. શનિવારનાં એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકી પણ માર્યો ગયો હતો. સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બિજબહેરા ખાતે સેમ્થાનમાં આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકીઓ માર્યા ગયા હોવાનું કાશ્મીર પોલીસે જણાવ્યું હતું.