શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સૈન્યએ હાથ ધરેલા ઓપરેશનમાં ૧૩મીએ જૈશે મોહમ્મદના પાકિસ્તાની આતંકી નાસિર ઉર્ફે શાહબાઝ સહિત બેને ઠાર કરાયાના અહેવાલ છે. શાહબાઝને એ કેટેગરીનો આતંકી જાહેર કરાયો હતો. પાકિસ્તાનનો આ આતંકી અનેક હુમલાઓમાં પણ સામેલ હતો. આ ગોળીબારમાં એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સૈન્ય અને લશ્કરે તોયબાના આતંકીઓ વચ્ચે ૧૨મીએ ભારે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન સૈન્યએ તોયબાના ત્રણ આતંકીઓને સ્થળ પર જ ઠાર માર્યા હતા. ૧૧મીએ પણ કુપવાડા સેક્ટરમાં નૌગામ પાસે LoCથી ૧૦૦ મીટર દૂર તોયબાનાં બે આતંકીને ઠાર કરાયા હતા અને યુદ્ધ લડી શકાય તેટલી શસ્ત્ર સામગ્રી મળી હતી.