જમ્મુઃ વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીમાં મંડી પડેલા અમિત શાહે ૨૯મીથી બે દિવસનો જમ્મુના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. અમિત શાહ ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં લઇને એવા રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છે, જ્યાં ભાજપને ખાસ મતદારોનો ટેકો મળ્યો નથી. એ રાજ્યોમાં ભાજપનો વ્યાપ વધારી વધુ બેઠકો જીતી શકાય એ માટે તેઓ તૈયારી કરશે. જમ્મુ પહેલાં અમિત શાહ આ જ વ્યૂહથી પ. બંગાળના પ્રવાસે ગયા હતા. રાજ્યોનો પ્રવાસ કરવા ઉપરાંત અમિત શાહ આગામી ચૂંટણી માટે ૬૦૦ પૂર્ણ સમયના લોકોની એક ટીમ બનાવી છે. આ ટીમ પાર્ટીનો વિજય નિવૃત્ત કરવા કામ કરશે.
શાહે લોકસભા ક્ષેત્રોમાં સંખ્યા અનુસાર પાર્ટી તરફથી પૂર્ણ સમયના લોકોની નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સાથે જ સુપરવાઇઝર તરીકે અન્ય કેટલાક કાર્યકર્તાઓની નિયુક્તિ કરાશે. અમિત શાહ પણ બૂથ સ્તરની તૈયારી ઉપર નજર રાખતા રહેશે. કેટલાય રાજ્યોમાં ૧૫ દિવસનો સમય વીતાવશે. એ ઉપરાંત પાર્ટીની યોજના લોકસભા ક્ષેત્રમાં ૬૦૦ પૂર્ણ સમયના કાર્યકરોની નિયુક્તિ પણ કરાશે, જે ૨૦૧૯ સુધી લોકસભા ચૂંટણીમાં મતોની ગણતરી સુધી સતત પાર્ટીનું કામ કરશે.
પાંચ રાજ્યોમાં તૈયારી પર શાહની સીધી નજર
અમિત શાહ આખી પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યા છે. તેઓ પાંચ રાજ્યોને અલગ કરીને તેના બુથ કક્ષાના મેનેજમેન્ટ ઉપર નજર રાખશે. આ પાંચ રાજ્યોમાં ગુજરાત, ઓડિશા, તેલંગાણા, લક્ષદ્વીપ અને પ. બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં શાહ પંદર દિવસ રહીને તમામ કામગીરી હાથ ધરશે. પાર્ટી પ્રમુખ તરીકે અમિત શાહ દેશવ્યાપી પ્રવાસ કરી રહ્યા છે અને સંગઠન સ્તરે પાર્ટીની તૈયારી ઉપર નજર રાખી રહ્યા છે. સંગઠનના કામ અંગે અમિત શાહ દેશભરમાં ૧૧૦ દિવસોનો પ્રવાસ કરશે. ઉત્તર પ્રદેશમાં મળેલી ભાજપની ઐતિહાસિક જીતને જોતાં આ પ્રવાસને ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે.
૬૦૦ પૂર્ણ સમયના કાર્યકર્તાઓ
ભાજપના એક ઉચ્ચસ્તરીય સૂત્રે જણાવ્યું હતું કે પ્રત્યેક લોકસભા ક્ષેત્રમાં એક ફૂલટાઇમર હોય એમ ૫૪૩ પૂર્ણ સમયના કાર્યકર્તાની નિયુક્તિ કરાશે. ૬૦૦ ફૂલટાઇમર્સમાંથી બાકી રહેશે તે તમામની નબળા લોકસભા મત વિસ્તારોમાં નિયુક્તિ કરાશે.