નવી દિલ્હીઃ ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવનાર દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને બચ્ચન પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલાં એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક નાનકડી ઘટનાએ બન્ને પરિવારોને અલગ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વરિષ્ઠ પત્રકાર અને ભૂતપૂર્વ સાંસદ સંતોષ ભારતીયે પોતાના નવા પુસ્તક ‘વી.પી. સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી એન્ડ આઇ’માં દાવો કર્યો છે કે વિદેશમાં અભ્યાસ કરતા પુત્ર રાહુલ ગાંધીના અભ્યાસ માટે સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચનને ફીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ તેમણે આ માટે આનાકાની કરી હતી. પુસ્તકના લેખકના કહેવા અનુસાર રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલના અભ્યાસ અંગે ખૂબ ચિંતિત હતાં. આ સમયે રાહુલ લંડનમાં અભ્યાસ કરતાં હતાં. સોનિયાએ પોતાની ચિંતા અમિતાભ સમક્ષ વ્યક્ત કરી હતી. પુસ્તક અનુસાર સોનિયાને સાંભળ્યા બાદ અમિતાભે જણાવ્યું હતું કે, ‘લલિત સૂરી અને સતીષ શર્માએ નાણાંની ગરબડ કરી છે, આથી હવે કશું છે જ નહીં પરંતુ હું કશુંક કરીશ.’
સોનિયાએ ચેક પાછો મોકલ્યો
લેખકે પુસ્તકમાં દાવો કર્યો છે કે અમિતાભે સોનિયા ગાંધીની ચિંતાને ધ્યાનમાં રાખીને બે દિવસ બાદ તેમને એક હજાર ડોલરનો ચેક મોકલ્યો હતો. જોકે સોનિયાએ ચેકને પરત મોકલી દીધો હતો. પુસ્તક અનુસાર સોનિયા ગાંધી આ ઘટનાને ક્યારેય ભૂલી શક્યા નથી અને તેને પોતાનું અપમાન સમજીને બચ્ચનને હંમેશ માટે સ્વજનોની યાદીમાંથી બાકાત કરી નાખ્યા હતા.
સંજયે બચ્ચનને મદદ નહોતી કરી
જોકે આ પ્રસંગ ટાંકવાની સાથે સાથે લેખક લખે છે કે સોનિયા ગાંધીને કદાચ એ બાબતની યાદ નહીં હોય કે એક સમયે અમિતાભ બચ્ચને પણ સંજય ગાંધી પાસેથી રૂ. ૨૦ લાખની માગણી કરી હતી. જોકે સંજયે પોતાની પાસે એટલા નાણાં નથી એમ કહી મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી અમિતાભે સંજય સાથેનો સંબંધ ઓછો કરી નાખ્યો હતો.