અયોધ્યાના પરમેશ્વર હવે ત્રિમૂર્તિના સહારે

Wednesday 13th March 2019 07:42 EDT
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આઠમીએ ત્રણ મધ્યસ્થીની પેનલને તાકીદ કરી હતી કે, ૧૩૪ વર્ષથી કોર્ટમાં વિલંબિત અયોધ્યા વિવાદનું સમાધાન વાતચીતથી શોધાશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાની અધ્યક્ષતા હેઠળની પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ પણ સામેલ છે. મધ્યસ્થીની તમામ પ્રક્રિયા બંધ રૂમમાં ચાલશે. તેમાં કેસના પક્ષકારો સિવાય કોઈ સામેલ થઈ શકશે નહીં. ૪ સપ્તાહ પછી એપ્રિલમાં કોર્ટમાં એક સ્ટેટ્સ રિપોર્ટ આપવાનો રહેશે. ૮ સપ્તાહ પછી મે મહિનામાં ફાઇનલ રિપોર્ટ આપવાનો રહેશે કે વિવાદ ઉકેલવો કે નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે મધ્યસ્થી દ્વારા મામલાના ઉકેલમાં કોઈ કાયદો અડચણરૂપ નથી.
૧૦ મે સુધીમાં પ્રક્રિયા પૂરી કરો
કોર્ટના આદેશના પગલે પેનેલે ૧૫ માર્ચ સુધીમાં કામ શરૂ કરવાનું છે. અંતિમ રિપોર્ટ દાખલ કરવા માટે મળેલો ૮ સપ્તાહનો સમય ૧૦ મેના રોજ પૂરો થાય છે. તે સમયે લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં હશે. ૨૦૧૪માં ૧૨મેના રોજ અંતિમ તબક્કાનું વોટિંગ થયું હતું. તેવામાં હવે મધ્યસ્થીના પરિણામ પર કોર્ટ ચુકાદો ચૂંટણી પછી જ આપે તેવી સંભાવના છે. કોર્ટે કહ્યું છે કે આ પ્રક્રિયાનું મીડિયા રિપોર્ટિંગ પણ થવું ના જોઈએ. જોક મીડિયાને કવેરજ પર પ્રતિબંધ નથી.
દેશમાં હિંદુઓની અવગણના
આ પછી આરએસએસ દ્વારા એવું નિવેદન કરાયું છે કે દેશમાં હિન્દુઓની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ગ્વાલિયરમાં આરએસએસની સર્વોચ્ચ સમિતિ અખિલ ભારતીય પ્રતિનિધ સભાની ૩ દિવસની બેઠકમાં દેશમાં જુદા જુદા મુદ્દાઓ પર દરખાસ્તો રજૂ કરાઈ હતી. જેમાં સંઘે અયોધ્યા કેસમાં તત્કાળ સુનાવણીનો ઇનકાર કરીને આશ્ચર્યજનક વલણ અપનાવવાનો ઉલ્લેખ કરાયો હતો અને દેશમાં હિન્દુઓની સતત અવગણના કરાતી હોવાનો આક્ષેપ કરાયો હતો.
સરકાર પર શંકા નથી
આરએસએસની ગ્વાલિયરમાં પ્રતિનિધિ સભાના અંતિમ દિવસે ૧૦મીએ ૧૦ દરખાસ્ત પસાર કરાઈ હતી તેમાં સંઘના મહાસચિવ ભૈયાજી જોશીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે ૧૯૮૦-૯૦થી જે આંદોલન ચાલી રહ્યું છે તે મંદિર નહીં બને ત્યાં સુધી ચાલુ રહેશે. અમે કોર્ટ પાસેથી આશા કરીએ છીએ કે વહેલી તકે તરફેણમાં નિર્ણય કરે. અમારું માનવું છે કે સત્તામાં બેઠેલા લોકોમાં પણ અત્યારે રામ મંદિરના વિરોધી નથી. તેમની કટિબદ્ધતા અંગે કોઈ શંકા નથી.
‘શ્રી શ્રીએ નિષ્પક્ષ કામગીરી કરવી પડશે’
સુપ્રીમના નિર્ણય વચ્ચે નિર્મોહી અખાડા અને એઆઇએમઆઇએમના વડા અસાદુદ્દીન ઓવૈસીએ શ્રી શ્રીના મધ્યસ્થોની પેનલમાં સમાવેશ સામે વાંધો ઉઠાવ્યો છે. નિર્મોહી અખાડાએ જણાવ્યું કે, શ્રી શ્રી રાજનીતિથી દૂર રહી બંધારણીય રીતે મધ્યસ્થા કરશે તેવી આશા છે. ઓવૈસીએ જણાવ્યું હતું કે હવે શ્રી શ્રી રવિશંકરે હવે નિષ્પક્ષ કામગીરી કરવી પડશે. આશા રાખીએ છીએ કે તેઓ મધ્યસ્થની જવાબદારી સમજશે.
રામજન્મ ભૂમિના પક્ષકાર, મહંદ ધર્મદાસજીએ જણાવ્યું છે કે, સુપ્રીમની મધ્યસ્થી અને પક્ષકારોની જુબાની તટસ્થ હોવી જોઈએ. બાબરી મસ્જિદના પક્ષકાર, ઇકબાલ અનસારીએ જણાવ્યું કે, અમે કોર્ટના આદેશથી ખુશ છીએ. સુપ્રીમ ઇચ્છે છે કે આ વિવાદનો ઝડપથી ઉકેલ આવે. હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણીએ કહ્યું કે, મધ્યસ્થતાની પ્રક્રિયામાં અમે સંપૂર્ણ સહકાર આપીશું. જો આ કેસનો ઉકેલ આવી જાય તેનાથી રૂડું શું હોઈ શકે.
નિર્મોહી અખાડાના મહંત સીતારામ દાસ કહે છે કે, અદાલતના નિર્ણયનો અમે સ્વીકાર કરીએ છીએ, શ્રી શ્રી રવિશંકરની સામે અમે કોઈ વાંધો નથી. અમે પહેલાં પણ આ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. રામજન્મ ભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે, નિર્મોહી અખાડાએ શ્રી શ્રી રવિશંકરના નામ સામે વાંધો ઉઠાવ્યો છે. શ્રી શ્રી રવિશંકરના નામ સામે વાંધો ઉઠાવ્યો છે. શ્રી શ્રી રવિશંકરને સુપ્રીમ કોર્ટે પેનલમાં સામેલ કર્યા છે તો હવે તેમણે બંધારણય રીતે મધ્યસ્થતા કરવી જોઈએ. અમે રાજનીતિથી દૂર રહેવા માગીએ છીએ. મધ્યસ્થતા સમિતિ દરેક પક્ષકારની વાત સાંભળશે. આ આવકારદાયક બાબત છે. આ વિવાદનો ઉકેલ જેમ બને તેમ ઝડપથી આવી જવો જોઈએ. હવે એમ લાગી રહ્યું છે કે આ વિવાદનું સમાધાન મળી આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter